ભરૂચ :
બ્રહ્માકુમારીઝ શક્તિનગર અંકલેશ્વર સેવા કેન્દ્ર દ્વારા તા. 25 ઓગસ્ટના રોજ અંકલેશ્વર સબ જેલ ખાતે નશામુક્તિ અને રક્ષાબંધનનો આધ્યાત્મિક પર્વ ઉજવવામાં આવ્યો હતો. બી.કે. નિમા દીદી અને જેલર વી.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં 140થી વધુ કેદી ભાઈઓ તેમજ પોલીસ સ્ટાફે સહભાગ લીધો હતો.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં નશામુક્ત જીવન, સકારાત્મક વિચારસરણી અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો. રક્ષાબંધનના આધ્યાત્મિક મહત્વ અંગે સમજ આપતાં નશા જેવી બુરાઈઓથી પોતાને મુક્ત રાખી સંસ્કારમય અને સ્વસ્થ જીવન અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે બ્રહ્માકુમારી રાજયોગિની જયશ્રી દીદીએ કેદી ભાઈઓને રાજયોગ અને આધ્યાત્મિક મૂલ્યો દ્વારા મનને શક્તિશાળી બનાવવાની તથા નકારાત્મક આદતોમાંથી બહાર આવી જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની પ્રેરણા આપી હતી. ઉપસ્થિત ભાઈઓને નશાથી દૂર રહેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની નશામુક્તિની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. રક્ષાબંધન નિમિત્તે કેદી ભાઈઓને તિલક કરી રાખડી બાંધી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સાથે વરદાન અને ટોલી (પ્રસાદ) ભેટ આપવામાં આવી હતી. સૌએ નશામુક્ત અને સ્વસ્થ સમાજના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ કર્યો હતો.
પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા તા. 6 ઓગસ્ટથી સમગ્ર દેશમાં નશામુક્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં છેલ્લા 15 દિવસ દરમિયાન શાળા, કોલેજ, તાલુકા અને વિવિધ ગામોમાં 350થી વધુ કાર્યક્રમો યોજવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું. આ કાર્યક્રમોમાં એક લાખથી વધુ લોકોને વ્યસનથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે.
