ભરૂચ: ઝાડેશ્વર વિસ્તારની નિજધામ સોસાયટીમાં રહેતો કાનવ શાહ ગત 24 ઓગસ્ટે સાયકલ લઈને ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઈ ગયો હતો. કિશોર ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન ઝાડેશ્વર ચોકડી નજીક નેશનલ હાઈવે-48 પર આવેલા જૂના સરદાર બ્રિજ પરથી કાનવની સાયકલ મળી આવતા તે નર્મદા નદીમાં પડ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
આ અંગેની જાણ થતાં ફાયર વિભાગની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના લાશ્કરોએ નર્મદા નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરી કિશોરની શોધખોળ શરૂ કરી હતી.
દરમિયાન આજે 26 ઓગસ્ટના રોજ બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં ગોલ્ડન બ્રિજ નજીકથી સર્ચ ઓપરેશન કરી રહેલા લાશ્કરોને કાનવ શાહનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ બહાર કાઢી જરૂરી કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં સી ડિવિઝન પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કિશોર કયા સંજોગોમાં નર્મદા નદીમાં પડ્યો તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
