ભરૂચ:
ભરૂચ શહેરમાં ઈદે મિલાદની ઉજવણી ધાર્મિક શ્રદ્ધા અને ભાઈચારાના માહોલમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેરના બાયપાસ વિસ્તારથી ઐતિહાસિક જુલુસ કાઢવામાં આવ્યું હતું. જુલુસ શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સંતોષી વસાહત ખાતે પહોંચ્યા બાદ પૂર્ણ થયું હતું.
ઈદે મિલાદ નિમિત્તે યોજાયેલા આ જુલુસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વર્ષોથી ચાલી આવતી અંદાજે 1500 વર્ષ જૂની પરંપરાને અકબંધ રાખી શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. જુલુસ દરમિયાન ધાર્મિક ભાવના સાથે શાંતિ અને એકતાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
જુલુસને લઈને પોલીસ વિભાગ દ્વારા શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા તેમજ સમગ્ર રૂટ પર સતત નજર રાખવામાં આવી હતી. પોલીસની સતર્કતા અને આયોજનને કારણે જુલુસ કોઈપણ અનિચ્છનીય બનાવ વિના શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું.
ઈદે મિલાદની આ ઉજવણી દરમિયાન ભરૂચની ગંગા-જમુની સંસ્કૃતિ અને કોમી એકતાની ઝલક જોવા મળી હતી. ધાર્મિક શ્રદ્ધાની સાથે લોકો વચ્ચે પરસ્પર પ્રેમ, એકતા અને ભાઈચારાની ભાવનાને ઉજાગર કરતી આ ઉજવણી શહેરમાં શાંતિ અને સૌહાર્દનો સંદેશ આપી ગઈ હતી.
