ભરૂચ:
ભોલાવ વિસ્તારમાં માતાએ સ્કૂલે નહીં જવા અંગે ઠપકો આપ્યા બાદ ધોરણ-10માં અભ્યાસ કરતો 16 વર્ષીય મેહુલ ઘરેથી ગૂમ થઈ જતાં પરિવારમાં ચિંતા ફેલાઈ છે. મેહુલે માતાને સ્કૂલે નહીં જવું અને પિતા પાસે દમણ જવાની વાત કરી હતી. જોકે, બાદમાં તે પિતા પાસે પણ ન પહોંચતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
ભોલાવ ગામની ગુજરાતી સ્કૂલ પાછળ ઝૂંપડપટ્ટીમાં રહેતાં હંસાબેન સુરેશભાઈ સોલંકી ભોલાવ જીઆઈડીસીની કંપનીમાં નોકરી કરે છે. તેમના પતિ સુરેશભાઈ દમણ નજીક બિમપુર ખાતે કંપનીમાં હાઉસ કિપીંગની નોકરી કરે છે અને ત્યાં જ રહે છે. દંપતીને બે સંતાનો છે. મેહુલ તુલસીધામ નજીક આવેલી નારાયણ વિદ્યાવિહાર સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરે છે.
27 ઓગસ્ટની રાત્રે મેહુલ આગળના રૂમમાં સૂતો હતો. વહેલી સવારે સાડા પાંચ વાગ્યે માતા જાગતાં મેહુલ પથારીમાં જોવા મળ્યો નહોતો. પરિવારજનોએ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તેમજ જંબુસર સહિતના વિસ્તારોમાં શોધખોળ કરી હતી.
દરમિયાન સ્કૂલના શિક્ષકે ફોન કરી મેહુલ છેલ્લા એક સપ્તાહથી સ્કૂલે કેમ નથી આવતો તે પૂછતાં માતા ચોંકી ઊઠ્યાં હતાં. બાદમાં ઠપકો આપતાં મેહુલે “મારે પપ્પા પાસે દમણ જવું છે” તેમ કહ્યું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
