રખડતાં શ્વાનોને ડોગ શેલ્ટર હોમમાં લાવી હડકવા વિરોધ રસી પણ અપાઈ એબીસી બર્થ કન્ટ્રોલ રૂલ અંતર્ગત ભરૂચ પાલિકા દ્વારા કામગીરી હાથ ધરાઈ
। ભરૂચ ।
ભરૂચ શહેર જિલ્લામાં છેલ્લા એક મહિનામાં ૧૦૯૪થી વધુ લોકો પર શ્વાને હુમલો કર્યાની ઘટના બની છે. ત્યારે રખડતાં શ્વાનોને કારણે લોકોના જીવ પણ એક તબકકે જોખમમાં મુકાયાં છે. નાના બાળકો રખડતાં શ્વાનોના ટોળાનો આસાન શિકાર બની જતાં હોય છે. ત્યારે રખડતાં શ્વાનોના હુમલામાં ઘવાયેલાઓને રેબીસ (હડકવા)નો ચેપ લાગવાની શક્યતાઓ વધી જાય છે. જેના કારણે રખડતાં શ્વાનોની સંખ્યા કાબુમાં આવે તેમજ તેમને હડકવા રસીકરણ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી હતી.
દરમિયાનમાં ભરૂચ સિવિલ હોસ્પિટલના ચોપડાના આંકડા મુજબ છેલ્લાં એક મહિનામાં ભરૂચમાં ૧૦૯૪ જેટલાં લોકો પર શ્વાને હુમલો કર્યો હોવાનું સામે આવતાં સુપ્રિમ કોર્ટમાં રીટ બાદ ભરૂચ નગરપાલિકાની ટીમ પણ સફાળી જાગી છે. ભરૂચ નગરપાલિકાએ એબીસી ( એનિમલ બર્થ કન્ટ્રોલ) પ્રોગ્રામ હેઠળ ખાસ ઝુંબેશ હાથ ધરી છે. જેમાં તેમની ટીમે શહેરમાં તબક્કાવાર દરેક વિસ્તારમાં ટીમો દ્વારા રખડતાં શ્વાનોને ઝડપી પાડવાની ઝુંબેશ શરૂ કરી છે. જેમાં તેઓ અલગ અલગ સ્થળેથી શ્વાનો પકડી તેમનું રસીકરણ અને ખસ્સીકરણ કરી બાદમાં તેમને ઓપરેશનની રૂઝ આવે ત્યાં સુધી ડોગ શેલ્ટરમાં જ રાખવામાં આવે છે. જે બાદ તેમને તેમને જ્યાંથી પકડી લાવ્યા હોય ત્યાં પરત મુક્ત કરવામાં આવી રહ્યાં છે. છેલ્લા ૧૫ દિવસમાં ટીમે શહેરમાંથી ૧૫૦થી વધુ શ્વાનોનું હડકવા રસીકરણ તેમજ ખસ્સીકરણ કરવામાં આવ્યું છે.
