આમોદ તાલુકાના દાંદા ગામે બનેલો વિચિત્ર બનાવ : જમવા બાબતે ઝઘડામાં ચાર જણાએ મારી બેભાન અવસ્થામાં મુકી ગયાનો ઘટસ્ફોટ
ભરૂચ.
આમોદ તાલુકામાં આવેલાં દાદા ગામે નિશાળ ફળિયામાં રહેતાં પ્રવિણસિંહ અમરસંગ વસાવા તેમના નાના પુત્ર વિષ્ણુ સાથે એકલાં રહેતાં હતાં. તેમની પત્નીનું 2003માં મોત થયું હતું જ્યારે પુત્રીને પરણાવી દીધી હતી. અને તેના કરતાં નાના પુત્રનું પણ એક વર્ષ પહેલાં મોત થયું હતું. ઉત્તરાણયનો પર્વ હોવાથી તે એકલાં હલદરવા ગામે રહેતી તેમની બહેનને ત્યાં તહેવાર મનાવવા 14મી એ સવારે ગયાં હતાં. જ્યારે તેમનો પુત્ર વિષ્ણુ ઘરે એકલો હતો. જે બાદ તેઓ બીજા દિવસે બપોરના સમયે ઘરે પરત આવતાં તેમનો પુત્ર ઘરમાં બેભાન હોવાનું માલુમ પડતાં તેમણે બુમરાણ મચાવી હતી. આસપાસના લોકો દોડી આવી તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેનું સારવાર વેળાં 17મીએ સવારે મોત નીપજ્યું હતું. જેથી તેઓ તેમના પુત્રના મૃતદેહને અંતિમ વિધી કરવા ઘરે લાવ્યાં હતાં. દરમિયાનમાં તેમને લોકો મારફતે જાણવા મળ્યું હતું કે, તેમનો પુત્ર વિષ્ણુનું અચાનક મોત નથી થયું. ગામના રાહુલ ઉર્ફે મેહુલ પ્રવિણ વસાવા, ભુમિત અરવિંદ વસાવા, અલ્પેશ ચંદુ વસાવા તેમજ કનુ ચંદુ વસાવાએ માતર ગામ પાસે આવેલી સિગ્મા કોલેજ પાસેની એક ઇંડાની લારી પર જમવા બાબતે તેની સાથે તકરાર કરી હતી. જે બાદ તેની રીસ રાી એક્સપ્રેસ હાઇવેના બ્રીજ બાજુુ, સાંપા ગામ પાસે, ઓચ્છણ ગામ પાસે તેની સાથે ઝઘડો કરી તેને બેભાન અવસ્થામાં તેમના ઘરે પાછળના બારણા પાસે મુકી ગયાં હતાં. લોકોમાંથી મળેલી માહિતીના આધારે તેમણે આમોદ પોલીસમાં જાણ કરતાં પોલીસે તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં માથામાં કોઇ વસ્તુથી માર મારતાં થયેલી ઇજાઓને કારણે થયું હોવાનું તબીબે જણાવ્યું હતું. બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
