ભરૂચના આમોદના દાંદા ગામે પિતાને ઘરમાંથી બેભાન અવસ્થામાં મળેલા પુત્રના મૃત્યુમાં ગામના જ 4 મિત્રોએ ત્રણ વખત ઝઘડો કરી માર મારતા મોત થયું હોય પોલીસે હત્યાના ગુનામાં ચારેય આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચના આમોદ તાલુકાના દાંદા ગામ નવી નગરીમાં રહેતા પ્રવીણ વસાવા ઉતરાયણ પર્વે તેમની બહેનના ઘરે હલદરવા ગયા હતા. જ્યાંથી વાસી ઉત્તરાયણે પરત ફરતા ઘરમાં તેમનો 26 વર્ષીય પુત્ર વિષ્ણુ બેભાન અવસ્થામાં પડેલો હતો. ગત વર્ષે નાના પુત્રના મોત બાદ બીજા પુત્રની આવી સ્થિતિ જોઈ તેઓએ બુમરાણ મચાવી હતી. ફળિયામાંથી પાડોશીઓ અને અન્ય સગા ભેગા થઈ ગયા હતા. બેભાન પુત્રને પ્રથમ 108 એમ્બ્યુલન્સમાં આમોદ સરકારી દવખાને લઈ જવાતા ત્યાંથી ભરૂચ સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. ગત 17 જાન્યુઆરીએ મળસ્કે વિષ્ણુનું મોત થયું હતું. પુત્રના મૃતદેહને અંતિમ વિધિ માટે ગામ લઈ જવાતા બહેન, ભાણી, સગા સંબંધીઓ અને ફળિયાના લોકોએ વિષ્ણુ અચાનક મરણ ગયો નથી પણ તેને ગામના જ રાહુલ વસાવા, ભુમીત, અલ્પેશ અને કનુ વસાવા માર મારી બેભાન હાલતમાં પાછળના દરવાજેથી ઘરમાં મુકી ગયાની હકિકત જણાવી હતી. માતર ગામે સિગ્મા કોલેજ સામે હાઇવે ઉપરની ઇંડાની લારીએ જમવા બાબતે ગામના જ આ ચાર મિત્રોએ ઝઘડો કર્યો હતો. જેની રીસ રાખી એક્ષપ્રેસ હાઇવેના બ્રીજ બાજુ સાંપા અને ઓચ્છણ ગામ બાજુ પણ વિષ્ણુ જોડે આ ચારેયે લડાઈ કરી હતી. પિતાને આ હકીકતની જાણ થતાં દિકરાનુ મરણનુ કારણ જાણવા દાંદાથી ફરી મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે 18 જાન્યુઆરીએ પોસ્ટમોટમ રિપોર્ટમાં દિકરાનુ માથાના ભાગે ઈજા થવાથી મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું હતું. દિકરા વિષ્ણુની અંતીમવિધી કર્યા બાદ પિતા પ્રવીણભાઈએ આમોદ પોલીસ મથકે રાહુલ, ભુમીત, અલ્પેશ અને કનુ વસાવા સામે પુત્રની હત્યાનો ગુનો નોંધાવ્યો હતો જેમાં પોલીસે ચારેય આરોપીની હત્યાના ગુનામાં ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું હતુ.
