ભરૂચ:
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ નગરપાલિકાની સંયુક્ત ટીમ દ્વારા મંગળવારે શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલી ખાણીપીણી લારીઓ, સ્ટોલ, રેસ્ટોરન્ટ તથા હોટલોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટીમે રેસ્ટોરન્ટ અને હોટલોના રસોડામાં સેનેટરી અને હાઇજેનિક કન્ડિશન, ખોરાકની ગુણવત્તા તેમજ સ્વચ્છતા અંગેની વિગતવાર ચકાસણી કરી હતી.
તપાસ દરમિયાન જ્યાં જ્યાં ખામીઓ જણાઈ આવી ત્યાં સંબંધિત સંચાલકોને તાત્કાલિક સુધારા કરવા માટે કડક સુચનાઓ આપવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન અલગ અલગ સ્થળોથી મળેલ વાસી તથા બિન આરોગ્યપ્રદ ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જેમાં 10 લીટર વડાપાંઉની ચટણી, 5 લીટર બળેલું તેલ અને 5 કિલો બિરીયાની ચોખા સહિતનો ખોરાક સામેલ હતો.
ટીમ દ્વારા તમામ વેપારીઓને ખોરાકની ચોખ્ખાઈ જાળવવા, ગુણવત્તાયુક્ત સામગ્રીનો જ ઉપયોગ કરવા તેમજ જાહેર આરોગ્ય સાથે કોઈ બેદરકારી ન રાખવા માટે કડક ચેતવણી આપવામાં આવી હતી. આવી તપાસ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેમ તંત્ર દ્વારા જણાવાયું છે.
