– શિવપરિવારની માટીની સુંદર પ્રતિમા સ્થાપન, વિવિધ દ્વાદશ જ્યોતિર્લિંગોની ઝાંખી, ચાર પ્રહરની શિવપુજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે
– મહાશિવરાત્રીના આ ભવ્ય આયોજન અંગે બેઠક યોજાઇ હતી
ભરૂચના મકતમપુર સ્થિત સ્વામીશ્રી સ્વયંજ્યોતિતીર્થ જ્ઞાન સાધન આશ્રમ ટ્રસ્ટ સંચાલિત ઓમકારેશ્વર મહાદેવ મંદિરના પુનઃઉદ્ધાર- જીર્ણોધ્ધાર અર્થે ટ્રસ્ટ દ્વારા 15 ફેબ્રુઆરી રવિવારના રોજ મહા શિવરાત્રી મહોત્સવની શાનદાર ઉજવણીની તૈયારીઓ ટ્રસ્ટી મંડળ તથા શિવભક્તો, અગ્રણીઓ દ્વારા આરંભ કરવામાં આવી ચૂકી છે.
સમગ્ર મંદિર પરિસરનો વિસ્તાર આવનારી શિવરાત્રી મહોત્સવ માટે નવા જ રંગ રૂપ ધારણ કરી રહ્યો હોઈ શિવભક્તોનું ધ્યાન આકર્ષિત થઈ રહ્યું છે. મહા શિવરાત્રીએ મહતમ શિવભક્તો દાયકાઓ જુના ઓમકારેશ્વ મહાદેવના ચમત્કારિક અને અદ્ભૂત, જીવંત ચેતના ધરાવતાં શિવલિંગના દર્શનનો લાભ લે, એ માટે મંદિરને નવા રંગ રૂપ અપાઈ રહ્યા છે.
₹ 25-25 લાખના ચાર તબક્કામાં કુલ રૂપિયા એક કરોડના ખર્ચે શહેરની મધ્યમાં આવેલું આ પૌરાણિક અને વિશાળ ખુલ્લી વિસ્તાર- જગ્યા ધરાવતું શિવ મંદિર શહેરના તમામ શિવભક્તોની શ્રધ્ધા અને ભક્તિનું માત્ર આદ્યાત્મિક અને સામાજિક સેવા, ક્રાંતિનું મુખ્ય કેન્દ્ર બને એ માટે ટ્રસ્ટીઓ અને શિવભક્તો કમર કસી રહ્યા છે. આ મંદિરના પુનઃ નિર્માણ, અને વિકાસના સદકાર્યમાં સહુ જનતા પોતાની ભાગીદારી તન, મન, ધનથી કરે એ માટે શિવરાત્રીએ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવા નક્કી કરાયું છે.
આજે 26 જાન્યુઆરીએ મંદિર ખાતે એક પ્રાથમિક અગત્યની વિવિધ કાર્યક્રમોના આયોજનને લગતી મીટીંગ મળી હતી. જેમાં ટ્રસ્ટી સંજય શ્રોફ, કૌશિક પંડ્યાના માર્ગદર્શન હેઠળ “શિવરાત્રી મહોત્સવ” ઉજવણી સમિતિના સભ્યો સર્વ જનકસિંહ દાયમાં, જ્યપાલ માંગરોલા, ગોપાલ શાહ, કનુભાઈ પરમાર, કીર્તિ શાહ, મહેશ ઠાકર, જીગ્નેશ પટેલ, પિયુષ શાહ હાજર રહ્યા હતાં.
શિવરાત્રી મહોત્સવ દરમ્યાન શ્રી જ્ઞાન સાધન આશ્રમના વિશાળ પટરાંગણમાં કલકત્તા – પ. બંગાલ સ્થિત પ્રસિદ્ધ કારીગરો દ્વારા સુંદર, અદ્ભૂત વિશાળકાય માટીના શિવપરિવારનું સુંદર, આકર્ષક સ્થાપન કરવામાં આવશે. આજ મેદાનમાં શિવ ભજનોની રમઝટ, વિવિધ દ્વાદશ જ્યોતિર્લિંગોની ઝાંખી, આ ઓમકારેશ્વર શિવમંદિરમાં શિવચરણોમાં જ વિશાળ મંડપમાં 21 જોડાઓ દ્વારા ચાર પ્રહરની શિવ પુજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવા આજની બેઠકમાં પ્લાનિંગ ઘડી કાઢવામા આવ્યું હતું.
શહેરમાંથી વિવિધ શિવ મંડળોને પણ આ શિવ મંદિરે પોત પોતાના શિવમદિરોથી સુંદર શિવયાત્રાઓ સાથે સાંજે 6.30 એ આ મંદિરના મકતમપુર સ્થિત શિવમંદિરે આવકારી, શિવમહોત્સવમાં જોડાવા જાહેર આમંત્રણ આપવા નક્કી કરાયું છે.
શક્ય તમામ વ્યવસ્થાઓ સાથે શ્રી સ્વામી સ્વયંજ્યોતિતીર્થ જ્ઞાન સાધન આશ્રમ ટ્રસ્ટના મંદિર ખાતે વિશાળ શિવ ભક્ત સમુદાય મંદિરમાં દર્શને આવે અને દર્શન કરે એ માટેનુ આયોજન કરાયું છે. શિવ મહાપુરાણમાં શિવરાત્રીના ચાર પ્રહરની શિવપુજાનુ અનેરું મહાત્મ્ય આ પૂર્વે આ સ્થળે યોજાયેલ પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ શાસ્ત્રીજીએ વર્ણવેલ. જેમને પણ ચાર પ્રહર સતત , અથવા એક- એક યથાશક્તિ પ્રહરમાં પુજામાં આ મંદિરે જોડાવું હોય એમણે મંદિર ખાતે ગોપાલ શાહ, જનકસિંહ દાયમાંને બનતી ત્વરાએ નામ નોંધાવવા વિનંતી કરાઈ છે.
