ભરૂચ જિલ્લામાં સમાવિષ્ટ પાંચેય વિધાનસભા બેઠકોમાં ખોટી રીતે ફોર્મ નંબર–7 ભરાવી મોટા પાયે મતદારોના નામ કમી કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ પક્ષે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ મુદ્દે ભરૂચ કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે માજી ધારાસભ્ય અને ભરૂચ જિલ્લા પ્રભારી ગ્યાસુદ્દીન શેખની હાજરીમાં વિસ્તૃત ચર્ચા-વિમર્શ યોજાયો હતો. બેઠકમાં આગામી દિવસોમાં કાયદાકીય કાર્યવાહી કરવાની દિશામાં પગલાં લેવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
કોંગ્રેસનો દાવો છે કે ભરૂચ જિલ્લાના પાંચેય વિધાનસભા વિસ્તારમાં અંદાજે 90 હજારથી વધુ મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે ખોટી રીતે ફોર્મ નંબર–7 ભરવામાં આવ્યા છે. આ બાબતે કોંગ્રેસ દ્વારા અનેક વખત વાંધા રજૂ કરી તંત્રને લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં માંગેલી માહિતી આપવામાં આવી નથી. જેના પગલે માત્ર ભરૂચ જિલ્લો જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આ મુદ્દે વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે.
આ સંદર્ભે યોજાયેલી બેઠકમાં માજી ધારાસભ્ય અને જિલ્લા પ્રભારી ગ્યાસુદ્દીન શેખ, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં નિર્ણય લેવાયો કે જો તંત્ર દ્વારા યોગ્ય જવાબ અને માહિતી આપવામાં નહીં આવે તો કોંગ્રેસ આ મુદ્દે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવા તૈયાર છે.
માજી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં 12 લાખથી વધુ ફોર્મ નંબર–7 ભરવામાં આવ્યા છે, જે પાછળ કોંગ્રેસના સમર્થક મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવાનો ષડયંત્ર રચાયો હોવાનો આરોપ છે. કોંગ્રેસે મતદારોના હક્કોની રક્ષા માટે રાજ્યવ્યાપી વિરોધ, રજૂઆત અને આંદોલન કર્યા હોવા છતાં તંત્ર મૌન છે.
તેમણે વધુમાં જણાવ્યું કે આગામી દિવસોમાં ‘વોટ ચોર, ગદ્દી છોડ’ અભિયાન હેઠળ ગુજરાતભરમાં વિરોધ કાર્યક્રમો, આવેદનપત્રો અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે મતદારોના અધિકારો સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ સહન કરવામાં નહીં આવે.
