ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ બહુચરાજી મંદિરે સમસ્ત વેજલપુર સમાજના આયોજન હેઠળ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે મહાઆરતીનો ભાવસભર કાર્યક્રમ યોજાયો હતો. આ ધાર્મિક પ્રસંગે મંદિર પરિસર ભક્તિભાવથી છલકાઈ ઉઠ્યો હતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મહાઆરતીનો લાભ લીધો હતો.
કાર્યક્રમમાં ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્રભાઈ પ્રજાપતિ, વોર્ડ નંબર-9ના કોર્પોરેટર ટીનેશભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આદિવાસી સમાજના આગેવાન સતીષ વસાવા, ખારવા પંચના મહામંત્રી ઉમેશભાઈ મિસ્ત્રી, સામાજિક આગેવાન દિલીપભાઈ મિસ્ત્રી, મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી જયકર મહારાજ, વેજલપુર જલારામ મંડળની બહેનો તેમજ અનેક ધર્મપ્રેમી ભક્તોએ હાજરી આપી હતી.
મહાઆરતી દરમિયાન ભગવાન વિશ્વકર્માની પૂજા-અર્ચના સાથે સર્વેના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતે ભક્તોમાં પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો અને સમગ્ર આયોજન ભક્તિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું.
