ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં ગાંધુ થી દણસોલી ગામને જોડતા કીમ નદી પર આવેલ પુલની હાલત અત્યંત ચિંતાજનક બની છે. પુલમાં દેખાતી જર્જરિત સ્થિતિ અને ગુણવત્તા અંગે સ્થાનિક લોકોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
વાલીયા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિજયભાઈ વસાવા દ્વારા સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમની મુલાકાત બાદ સમગ્ર હકીકતો અને તથ્યોને આધારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા દ્વારા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક તપાસ હાથ ધરવા માંગ કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવાયું છે કે જાહેર નાણાંથી બનેલા પુલની ગુણવત્તા અંગે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવી જરૂરી છે. જો બેદરકારી, ગેરવહીવટ અથવા ભ્રષ્ટાચાર સામે આવે તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
સાથે જ પુલની સલામતી સુનિશ્ચિત કરવા અને જનતાને સુરક્ષિત અવરજવર માટે જરૂરી તાત્કાલિક પગલા લેવાય તેવી માંગ પણ કરવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ જનહિતના પ્રશ્નોમાં સતત અવાજ ઉઠાવતી રહેશે અને પ્રજાના હિત માટે લડત ચાલુ રાખશે.
