સુરતનો ઇમરાન ખાન રેલવે મારફતે દારૂ લાવી આપતો હતો
ભરૂચ.
ભરૂચના કુખ્યાત બુટલેગર બબુલ ઉર્ફે દિનેશ પાટણવાડિયાને ત્યાં એ ડિવિઝન પોલીસે દરોડો પાડી કુલ 3.70 લાખનો દારૂ તેમજ 50 હાજરનો મોબાઇલ મળી કુલ 3.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક પુછપરછમાં સુરતનો ઇમરાન ખાન રેલવે મારફતે તેને દારુ આપી જતો હોવાની કબુલાત તેણે કરી છે.
ભરૂચ એ ડિવિઝન પોલીસને ચોકકસ બાતમી મળી હતી કે, બબુલ ઉર્ફે દિનેશે રેલે સ્ટેશનમાંથી વિદેશીદારૂનો જથ્થો લાવી પોતાના ઘરે ઉતારી સંતાડી રાખ્યો છે. જેના પગલે ટીમે તેના ઘરે દરોડો પાડતાં દિનેશ ઉર્ફે બબુલ પાટણવાડિયા તેના ઘરે જ મળી આવતાં ટીમે તેની ધરપકડ કરી હતી. તેના ઘરમાં તપાસ કરતાં એક રૂમમાં પાંચ મોટા થેલામાં વિદેશીદારૂનો જથ્થો ભરેલો મળી આવતાં ટીમે કુલ 2.70 લાખનો દારૂ તેમજ 50 હજારનો મોબાઇલ મળી કુલ 3.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં તેણે કબુલાત કરી હતી કે, સુરત ખાતે રહેતો ઇમરાન ખાન ટ્રેનમાં વિદેશીદારૂ ભરૂચ રેલવે સ્ટેશને લાવે છે. છેલ્લાં ત્રણેક દિવસથી તે રેલવે સ્ટેશનમાંથી રોજની ચાર-ચાર પેટી દારૂ વેચાણ કરવાના ઇરાદે લાવે છે. જેના પગલે પોલીસે ઇમરાનને વોન્ટેડ જાહેર કરી બન્ને વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે નોંધનિય છે કે, ભરૂચ શહેરના ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતો બબુલ ઉર્ફે દિનેશ પાટણવાડિયા વિદેશીદારૂનો વેપલો કરે છે તેમજ તેની માતા દેશીદારુ વેચે છે. ત્યારે બન્ને માતા-પુત્રના ગેરકાયદે ધંધાઓને કારણે સ્થાનિકોમાં ભારે છુપો રોષ છે. જોકે, બબુલ સામે અગાઉ શરીર સંબંધી ગુનાઓ નોંધાયાં હોવા સાથે ઇન્દિરા નગર ઝૂપડપટ્ટીમાં આખા વિસ્તારનો તે ડોન હોવાનો રોફ ઝાડી આવતાં જતાં લોકો સાથે પણ કોઇ પણ બાબતે ઝઘડાં કરી તેમને માર મારતો હોવાની ઘટનાઓ ભુતકાળમાં બની છે. પોલીસ દ્વારા તેની સામે કેટલાંય ગુના નોંધવામાં આવ્યાં છે ત્યારે તેણે કાયદા સામે નમતુ જોખવાના બદલે તે હવે કાયદાથી ઉપર હોય તેમ વિસ્તારમાં બિન્દાસ્ત પોતાની દાદાગીરીથી દારૂનો ધંધો કરે છે તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે. નવા નિયમ મુજબ બુટલેગરો દ્વારા ગેરકાયદે કરેલાં દબાણો દૂર કરવાની પણ પ્રક્રિયા કરવાની હોય છે. જોકે, વારંવાર દારૂ સહિત મારામારીના અનેક કેસોમાં બબુલ ઉર્ફે દિનેશ પાટણવાડીયા મુખ્ય આરોપી હોવા છતાં તંત્ર દ્વારા તેની મિલ્કતોનો સર્વે કેમ નથી કરાતો તેમજ તેના ગેરકાયદે રીતે ઉભા કરી દેવાયેલાં મકાનને દૂર કરવાની કામગીરી કેમ નથી થતી તે અંગે સ્થાનિકોમાં અનેક તર્કવિતર્ક સર્જાઇ રહ્યાં છે.
