ભરૂચ.
વાલીયા તાલુકાના કોંઢ ગામે આવેલી ગુજરાત ગાર્ડિયન કંપનીમાં સિદ્ધી વિનાયક એસોસિએટ હેઠળ કામ કરતાં ચાર કામદારોને અચાનક નોકરીમાંથી દૂર કરવામાં આવતા ગામમાં અસંતોષ ફેલાયો છે. ગામના આગેવાનો ગૌતમ કૌશીકભાઈ દેસાઈ અને અન્ય રહેવાસીઓ દ્વારા લેખિત નોટિસ આપી કંપની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
માહિતી મુજબ યુસુફ ઈસ્માઈલ તર્કી (૨૯ વર્ષથી સેવા), વસાવા કમલેશભાઈ રતીલાલ (૫ વર્ષ), વસાવા અરુણકુમાર મુકેશભાઈ (૭ વર્ષ) અને વસાવા મહેન્દ્રભાઈ ચંદ્રેશભાઈ (૪ વર્ષ) સિદ્ધી વિનાયક એસોસિએટ કોન્ટ્રાકટર મારફતે ગુજરાત ગાર્ડિયન કંપનીમાં મેઈન્ટેનન્સ મટીરીયલ હેન્ડલીંગ, લોડિંગ-અનલોડિંગ, હાઉસ કીપિંગ તેમજ મેનપાવર સપ્લાયના કામમાં વર્ષોથી નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા હતા.
ગામજનોનો આક્ષેપ છે કે ચારેય કામદારો વિરુદ્ધ કોઈ રાવ-ફરીયાદ નહોતી હોવા છતાં તેમને આશરે ચાર મહિના પહેલા કોઈ લેખિત નોટિસ કે વાજબી કારણ વગર મૌખિક રીતે નોકરીમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. “આવતી કાલથી નોકરી પર આવવાની જરૂર નથી” એવી જાણ કરવામાં આવતા તેઓ બેરોજગાર બન્યા હોવાનું જણાવાયું છે.
ગામના આગેવાનોના જણાવ્યા મુજબ કાયદેસરની પ્રક્રિયા અનુસર્યા વગર કામદારોને છુટા કરવાનું પગલું ગેરકાયદેસર છે. કંપની દ્વારા પાંચ દિવસમાં સ્પષ્ટ કારણ આપવામાં ન આવે તો 17-02-2026ના રોજ કંપનીના ગેટ સામે જોરદાર આંદોલન કરવાની અને ત્યારબાદ લેબર કોર્ટ, ભરૂચમાં કાયદેસર કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
આ બનાવને લઈને કામદારોમાં રોષ ફેલાયો છે અને યોગ્ય ન્યાય ન મળ્યે સુધી લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
