અંકલેશ્વર તાલુકા સબ જેલમાં કેદીઓની સુરક્ષા, જેલની શિસ્ત અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેલ સંકુલમાં મોબાઇલ ફોન, સિમકાર્ડ તેમજ અન્ય દુરસંચાર ગેજેટ્સના ગેરકાયદેસર ઉપયોગને અટકાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જેલરશ્રી, અંકલેશ્વર તાલુકા સબ જેલ દ્વારા આ બાબતે સત્તાવાર રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતને અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી, ભરૂચે પણ જાહેરનામું બહાર પાડવા હકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. ત્યારબાદ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી પાર્થ જયસ્વાલ, ઈન્ચાર્જ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ દ્વારા ભારતિય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 ની કલમ 163 હેઠળ પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરી આ હુકમ જાહેર કર્યો છે.
જાહેરનામા અનુસાર અંકલેશ્વર તાલુકા સબ જેલના પરિસરમાં કોઈપણ વ્યક્તિ મોબાઇલ ફોન, સિમકાર્ડ અથવા અન્ય દુરસંચાર માધ્યમના ગેજેટ્સ સાથે પ્રવેશ કરી શકશે નહીં. જો કે ફરજ પર રહેલા અને સત્તાધિકૃત અધિકારીઓ/કર્મચારીઓને આ જોગવાઈમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ અંગેનું જાહેરનામું ઈન્ચાર્જ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ દ્વારા સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
