ભરૂચના મક્તમપુર ભાથીજી મંદીર પાસે બનેલી ઘટના
ભરૂચ.
ભરૂચના મક્તમપુર ખાતે આવેલી ગુલમહોર સોસાયટી ખાતે રહેતાં બે પરિવાર વચ્ચે સામાન્ય બાબતે તકરાર થતાં બન્ને પરિવાર વચ્ચે ધિંગાણું સર્જાયું હતું. ઘટનાને પગલે બન્ને પક્ષે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કુલ ₹ લોકો સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના મક્તમપુર ખાતે આવેલી ગુલમહોર સોસાયટીમાં રહેતાં સુખીયાદવી ચૌહાણની પુત્રીને પેટમાં દુખાવો થયો હોવાથી તે તેને લઈને ચાલતાં ચાલતાં હોસ્પિટલમાં બતાવવા માટે જઈ રહ્યાં હતાં. તે વેળાં ભાથીજી મંદિર પાસે પહોંચતાં તેમની જ સોસાયટીમાં રહેતો દિપેશ ત્યાં બેઠેલો હોઈ તે તેમની સામે જોવાં કરતો હતો. જેના પગલે સુખીયાદેવીએ તેને મારી સામે શું જોવા કરે છે તેમ કહેતાં દિપેશે અચાનક ઉશ્કેરાઈ જઈ તેમને અપશબ્દો ઉચ્ચારી તેમને તમાચા મારી દીધાં હતાં તેમજ છાતીના ભાગે ઢીકો મારી હતી. તેમની પુત્રી છોડાવવા પડતાં તેને પણ માર માર્યો હોત. દરમિયાનમાં તેનું ઉપરાણું લઈ તેના પિતા પ્રકાશ તેમજ ભાઈ કિશોરે દોડી આવી તેમણે પણ ઈંટ જેવા પથ્થરથી મારી તેમને ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિલટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવને પગલે તેમણે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ઘટનામાં પ્રકાશ હરિશચંદ્ર અહિરે પણ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ ભાથીજી મંદિર પાસે હેર સલુન ચલાવે છે.રાત્રીના નવેક વાગ્યે તેઓ તેમજ તેમનો પુત્ર દિપેશ દુકાનમાં હતાં. તે વેળાં તેમની સોસાયટીમાં રહેતાં રામસિંહ ચૌહાણ તેમની દુકાને આવેલાં અને તેમણે કોઈ કારણ વિના તેમના પુત્ર દિપેશને અપશબ્દો ઉચ્ચારવા લાગ્યા હતાં. તેમને રોકવા જતાં તેમણે તેમની સાથે ઝપાઝપી કરી હતી. દરમિયાનમાં રામસિંહની પત્ની તેમજ પુત્રી ત્યા આવી જતાં ત્રણેયે મળી તેમને માર માર્યો હતો. તેમણે લાકડાના ડંડા વડે સપાટા મારી તેમને ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.
