અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા “સ્વ. શાંતાબેન ઠાકોરભાઈ પટેલ વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ સમારોહ”નું ભવ્ય આયોજન કોલેજ પરિસરમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ઉત્સાહ અને ઉજવણીના માહોલ વચ્ચે યોજાયો હતો.
સમારોહમાં એડમિનિસ્ટ્રેટર ચિરાગ શાહ, કો-એડમિનિસ્ટ્રેટર બલવંતસિંહ પટેલ, કિંજલબેન શાહ અને હિરલબેન બલવંતસિંહ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કોલેજના આચાર્ય ડૉ. જી. કે. નંદા, ઇ.એન. જીનવાલા હાઇસ્કૂલના આચાર્ય ઈશ્વર પરમાર તેમજ એમટીએમ ગર્લ્સ સ્કૂલના આચાર્ય નયનાબેન રાણા પણ વિશેષ હાજરી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય, યુનિવર્સિટી અને કોલેજ કક્ષાએ શૈક્ષણિક તેમજ શિક્ષણેતર ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના પ્રયત્નો અને પ્રતિભાને બિરદાવતા મહેમાનોએ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
Advertisement
વાર્ષિકોત્સવ પ્રસંગે કોલેજ પરિવારના સભ્યો, વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો અને કોલેજ કેમ્પસમાં આનંદમય માહોલ જોવા મળ્યો હતો.
