આમોદ શહેર અને તાલુકામાં ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ શાસિત નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદીમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે આમોદ કોંગ્રેસ સમિતિ રસ્તા પર ઉતરી આવી હતી. મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ આમોદ પોલીસ મથક ખાતે એકત્ર થઈ ‘લોકશાહી બચાવો’ના નારા લગાવ્યા હતા.
કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે સત્તાધારી પક્ષના દબાણ હેઠળ વહીવટી તંત્ર વિરોધ પક્ષના સમર્થકો અને સામાન્ય નાગરિકોના નામો સામે ખોટા વાંધા ઉઠાવી તેમને હેરાન કરી રહ્યું છે. આક્ષેપો સાથે આશરે 200 જેટલી લેખિત ફરિયાદો અને વાંધા અરજીઓ પોલીસ ઇન્સ્પેક્ટરને સુપરત કરવામાં આવી હતી.
વિરોધ પ્રદર્શનમાં જોડાયેલી મહિલા કાર્યકર રાજ બિસ્મીલ્લાબેન સિરાજભાઈએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા દાયકાથી આશા વર્કર તરીકે ફરજ બજાવી રહ્યા છે, છતાં સ્ક્રુટિની પ્રક્રિયા દરમિયાન રાજકીય દ્વેષથી તેમનું નામ મતદાર યાદીમાંથી કાઢી મુકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ આ પ્રક્રિયાને લોકશાહીના મૂલ્યો પર ઘા ગણાવી આક્ષેપ કર્યો હતો કે નગરપાલિકાના વર્તમાન તથા પૂર્વ હોદ્દેદારો અને ભાજપના શહેર પ્રમુખ વહીવટી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી રહ્યા છે. લોકોના કાયદેસર નામો સામે ગેરરીતિપૂર્વક વાંધા ઉઠાવવામાં આવી રહ્યા હોવાનો પણ આરોપ મૂકાયો હતો.
આંદોલનમાં આમોદ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ખાસ કરીને સુઠોદરા ગામ અને આમોદ શહેરમાંથી અંદાજે 100-100 જેટલી અરજીઓ એકત્રિત કરી કુલ 200થી વધુ ફરિયાદોનો ખડકલો પોલીસને સોંપાયો હતો.
કોંગ્રેસ પક્ષે ચીમકી ઉચ્ચારી છે કે જો મામલે તટસ્થ તપાસ કરી જવાબદારો સામે એફઆરઆઇ નોંધવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર તાલુકામાં ઉગ્ર જનઆંદોલન શરૂ કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે પોલીસ અને વહીવટી તંત્રની આગામી કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે.
