રૂપિયા લઈ બાઈક આપી બાદમાં આરટીઓના કામે બાઈક લઈ જઈ પરત ન કરી
। ભરૂચ ।
ભરૂચમાં સિજરના ત્રાસથી યુવાનનું એટેક આવવાથી મોત થયાની ઘટના બાદ સિજર યોગેશ બેલેરાવ અને તેના સાથી સંજય વસાવાએ શહેરમાં અનેક લોકોને ધાકધમકી આપી રૂપિયા પડાવી લીધા હોવાની ઘટનાઓ સામે આવી છે. ભરૂચના એક યુવાનને જૂની બાઈક વેચાણે આપવાના બહાને ૫૫ હજાર લઈ લીધાં બાદ આરટીઓમાં નામ ચઢાવવાના બહાને બાઈક લઈ જઈ પરત ન કરી ઠગાઈ કરી હતી.
ભરૂચ શહેરના ડુંગરી રોડ પર મદિના રેસિડન્સી પાછળ આવેલાં હુરપાર્ક સોસાયટીમાં રહેતાં સાહિલ નુરમહંમદ મેમણ અંકલેશ્વર સરકારી હોસ્પિટલની સામે આઈક્યોર ચસ્માની દુકાનમાં કામ કરે છે.તેમને રોજ નોકરીઅર્થે અંકલેશ્વર જવાનું હોઈ તે માટે જુની બાઈક લેવા માંગતા હતાં. ભરૂચના આચારજીની ચાલ વિસ્તારમાં રહેતાં યોગેશ સંતોષ બેલેરાવ સાથે તેની ઓળખાણ થઈ હતી તેણે તે જુની ગાડીઓ લે-વેચનું કામ કરતો હોવાનું જણાવતાં તેણે પોતાના માટે સારી બાઈક માટે વાત કરી હતી. દરમિયાનમાં યોગેશે તેને તેની પાસે એક સારી સ્પ્લેન્ડર બાઈક વેચાણ માટે આવેલી હોવાનું જણાવી તેને ગત ૧૩ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ સ્ટેશન રોડ પર આવેલી બીઓબી પાસે બોલાવાતાં સાહીલ તેના પિતા અને ભાઈ સાથે ત્યાં ગયાં હતાં. ત્યાં યોગેશ બેલેરાવ તેમજ તેની સાથેનો સંજય ઉર્ફે સંજુ વસાવા (રહે. જુની વાડી વસંતમીલની ચાલ) ઉભા હતાં. તેમને બાઈક બતાવી તેની કિંમત ૫૫ હજાર નક્કી કરી હતી.
જોકે નામે કરાવવા માટે બેલેરાવે જણાવ્યું હતુ કે, આરટીઓમાં તેની ઓળખાણ છે તે બાદમાં નામ ટ્રાન્સ્કર કરાવી આપશે. જેથી તેમણે બાઈક ખરીદી હતી. તેમજ તેના બદલામાં રોકડા ૪૫ હજાર તથા ૧૦ હજારનું ઓનલાઈન ચુકવણું કર્યું હતું. જે બાદ બાઈક નામે કરાવવા માટે બાઈક આરટીઓમાં લઈ જવી પડશે તેમ કહીં બાઈક લઈને તેમને લિંકરોડ પર બોલાવ્યો હતો. જે બાદ યોગેશ અને સંજયે તેમની બાઈક લઈ આરટીઓનું કામ પુરુ થાય એટલે બાઈક પાછી આપી દઈશું કહીં બાઈક લઈને જતાં રહ્યાં હતાં. જેબાદ આરટીઓમાં પ્રોબ્લેમ ચાલે છે જેવા બહાના કરતો હોઈ સાહિલે બાઈક અથવા રુપિયા પરત આપવા કહેતાં તેમણે ફોન પર હવે બાઈક નહીં મળે કહીં ફોન બંધ કરી દઈ બાદમાં ફોન ઉપાવાનું બંધ કરી દીધું હતું. ઘટનાને પગલે તેમણે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
