આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારી T20 ક્રિકેટ મેચ માટે ઑનલાઇન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ પર તમામ ટિકિટો “સોલ્ડ આઉટ” બતાવવામાં આવી રહી છે. છતાં બજારમાં આ જ ટિકિટો કાળા બજારમાં અંદાજે ₹50,000 થી ₹70,000 જેટલા અત્યંત ઊંચા ભાવે વેચાતી હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.
આ પરિસ્થિતિ ગંભીર ચિંતાનો વિષય છે. સામાન્ય ક્રિકેટપ્રેમીઓ માટે ઉપલબ્ધ હોવી જોઈએ એવી ટિકિટો ગેરકાયદેસર રીતે કાળા બજારમાં વેચાઈ રહી હોવાની શંકા ઉભી થાય છે. ટિકિટ વેચાણ દરમિયાન ઓળખપત્ર (ID Proof) સાથે ચકાસણીની વ્યવસ્થા હોવા છતાં આ પ્રકારની ગેરરીતિ કેવી રીતે થઈ રહી છે તે અંગે તપાસ કરવી જરૂરી છે.
આ મુદ્દે અમદાવાદ શહેરના પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરીને ટિકિટોના કાળા બજાર અંગે તાત્કાલિક તપાસ શરૂ કરવાની માંગ સંદીપ માંગરોલા દ્વારા કરવામાં આવી છે. સ્ટેડિયમના પ્રવેશદ્વારો પર ટિકિટ સાથે ઓળખપત્રની કડક ચકાસણી કરવામાં આવે તેમજ ગેરકાયદેસર રીતે ટિકિટો વેચનારા તથા તેમાં સંડોવાયેલા “વ્હાઇટ કોલર” તત્વોને બહાર લાવી તેમના સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આ રજૂઆત મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, પોલીસ મહાનિદેશક અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન તથા BCCI ને પણ મોકલવામાં આવી છે જેથી આ મામલે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં આવે.
ક્રિકેટપ્રેમીઓના હિતોને ધ્યાનમાં રાખીને અને રમતની પ્રતિષ્ઠા જાળવવા માટે આ પ્રકારના કાળા બજાર સામે કડક કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે.
