ભરૂચ.
ભરૂચના ડુંગરી વિસ્તારમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ભરૂચ નગરપાલિકા સંચાલિત પાણીની ટાંકીનું લાખો લીટર પાણી રોડ પર વહેતું થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
ભરૂચ શહેરના ડુંગરી વિસ્તારમાં નલ સે જલ યોજના અંતર્ગત ૧૦ લાખ લીટરની ક્ષમતા વાળી બનેલી પાણીની ટાંકીનું સંચાલન ભરૂચ નગરપાલિકા કરે છે. છેલ્લાં કેટલાંય સમયથી થોડા થોડા સમયના અંતરે ડુંગરી પાણીની ટાંકીનું પાણી રોડ પર વરસાદી પાણીની જેમ વહેતું હોય તેવી દ્રશ્યો જોવા મળતાં રહે છે.દરમિયાનમાં પુનઃ એકવાર ડુંગરી પાણીની ટાંકી પાસેના રોડ પર પાણી ભરાઈ જવાને કારણે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયાં હતાં. સ્થાનિક રહિશ આબીદ મિર્ઝાએ જણાવ્યું હતું કે, બે કરોડના ખર્ચે બનેલી ટાંકીનો વાલ્વ ખરાબ થઈ જતાં તેનું રિપેરિંગ કરવાનું હતુ. જેના પગલે આખી ટાંકી ખાલી કરવી પાડતાં આખા વિસ્તારમાં પીવાના મીઠા પાણીની નદીઓ વહી ગઈ હતી. હાલમાં રમઝાન મહિનો ચાલી રહ્યો છે. બીજી તરફ ઉનાળાની શરૂઆત પણ થઈ ગઈ છે. ત્યારે લોકોને પાણીની જરૂરિયાત હોવા છતાં તમામ પાણીનો વેડફાટ કરવો પડયો હતો. સર્જાયેલી સમસ્યાને કારણે આગામી દિવસોમાં લોકોને પાણીની કિલ્લતનો સામનો કરવો પડે તેવી દહેશત તેમણે વ્યક્ત કરી હતી.
