તાલીમ અને મૂલ્યાંકન દ્વારા કૃષિ સખીઓની સજ્જતા: ભરૂચ જિલ્લા વહીવટી તંત્રનો અભિગમ
ભરૂચ
આત્મા પ્રોજેકટ ભરૂચ દ્વારા જિલ્લાના ૩૮ મિશન ક્લસ્ટરનાં મળીને કુલ ૭૬ CRP (કૉમ્યુનિટી રિસોર્સ પર્સન) અને કૃષિ સખી માટે પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ ખેડૂત તાલીમ કેન્દ્ર, આત્મા કચેરી ભરૂચ દ્વારા મિશન ક્લસ્ટર અંતર્ગત કોમ્યુનીટી રિસોર્સ પર્સન અને કૃષિ સખી માટે પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત, જીવામૃત અને ઘન જીવામૃત વિષય પર વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં તાલીમ અધિકારીશ્રી શિરીષભાઈએ હાજર તમામ કૉમ્યુનિટી રિસોર્સ પર્સન અને કૃષિ સખીને જીવંત નિદર્શન દ્વારા બીજામૃત, જીવામૃત અને ઘન જીવામૃત કઈ રીતે તૈયાર કરવા, ક્યારે અને કેટલા જથ્થામાં ઉપયોગ કરવો તેમજ કઈ રીતે ખેતરમાં આપવા તે બાબતે પ્રત્યક્ષ માહિતી પૂરી પાડી હતી.
તાલીમ કાર્યક્રમનો ઉદ્દેશ CRP (કૉમ્યુનિટી રિસોર્સ પર્સન) અને કૃષિ સખીને બીજામૃત, જીવામૃત અને ઘન જીવામૃતની વિધિવત માહિતીથી અવગત કરાવવાનો હતો. જેથી તેઓ તેમના ક્લ્સ્ટરમાં આવેલા ગ્રામીણ વિસ્તારના સ્થાનિક ખેડૂતોને દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર દ્વારા પ્રાકૃતિક ખેતીના વિના ખર્ચે તૈયાર થતાં બીજામૃત, જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાની પદ્ધતિ અને તેનું પ્રેકટીકલ જ્ઞાન પૂરું પાડી શકે. તેમજ પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત અને લાભોથી માહિતગાર કરી શકે.
પ્રાકૃતિક ખેતીના પાંચ આધારસ્તંભો, વિવિધ પાકોની નવી અને સુધારેલી જાતો, ખેતી પદ્ધતિ, પોષણ વ્યવસ્થાપન તથા ઉત્પાદન ખર્ચ ઘટાડવાના ઉપાયો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને વિવિધ પાકોમાં ઉપયોગમાં લેવાતી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અંગે પ્રાયોગિક રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, દશપર્ણી અર્ક, નીમાસ્ત્ર જેવા ઇનપુટ્સની તૈયારી અને ઉપયોગ અંગે સીધી માહિતી આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી દ્વારા રોગ તથા જીવાત નિયંત્રણ, જમીનની જીવંતતા વધારવી, ખર્ચ ઘટાડવો તેમજ પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ભરૂચ જીલ્લાના વિવિધ તાલુકામાંથી કુલ ૩૮ ક્લસ્ટરના ૭૬ CRP (કૉમ્યુનિટી રિસોર્સ પર્સન) અને કૃષિ સખી તાલીમ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેઓને જૂથ ચર્ચા, પ્રશ્નોતરી તેમજ તાલીમ પેહલા અને તાલીમ બાદની મુલ્યાંકન કસોટીનું પણ આયોજન કર્યુંહતું. જેથી સહ્ભાગીતાની સમજણ મજબુત બને. ઉપસ્થિત તાલીમાર્થીઓએ તેઓના ક્ષેત્રિય કક્ષાએ ઉદ્ભવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવેલ હતું. આ તાલીમમાં આત્મા પ્રોજેકટ ડાયરેક્ટરે પ્રાકૃતિક કૃષિના પોસ્ટર ઉપલબ્ધ કરીને ગ્રામ્ય કક્ષાએ પ્રદર્શિત કરવા માટે કૉમ્યુનિટી રિસોર્સ પર્સન અને કૃષિ સખીને અપીલ કરી હતી તેમજ આગામી સમયમાં ક્લસ્ટર તાલીમોનો વ્યાપ વધે અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાય તે સુનિશ્વિત કરવા સૂચન કર્યું હતું.
આ તાલીમથી આસપાસના ખેડૂતોને માર્ગદર્શન આપી રસાયણ મુકત ખેતી આગળ વધારવા પ્રતીબ્ધતા વ્યક્ત કરી હતી.
