અંકલેશ્વર:
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે બાઇક ધોવા બાબતે થયેલા ઝઘડામાં 17 વર્ષીય કિશોરની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક બનેલી આ ઘટનામાં કિશોરને છાતી અને ફેફસાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ અંદાડા ગામના કૈલાસ ટેકરી વિસ્તારમાં રહેતા પ્રિયાબેન શૈલેષ વસાવાનો પુત્ર રોહન વસાવા (ઉ.વ.17) મિત્રો સાથે ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગયો હતો. આ દરમિયાન તેના મિત્રના મોબાઈલ પરથી રોહને ફોન કરી પોતાનો ફોન તૂટી ગયો હોવાની વાત કરી ઘરે લઈ જવા જણાવ્યું હતું. થોડા સમય બાદ તેના મિત્રો રોહનને બેહોશ હાલતમાં બાઇક પર ફળિયામાં લાવ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેને ગડખોલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
પોસ્ટમોર્ટમના પ્રાથમિક અહેવાલ મુજબ છાતી અને ફેફસાના ભાગે થયેલી ગંભીર ઇજાઓને કારણે રોહનનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે બાઇક ધોવા બાબતે થયેલા ઝઘડામાં તેના મિત્રો સાહિલ ગણપત વસાવા અને નિલેશ દિનેશ વસાવાએ માર મારતા આ ઘટના બની હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
