Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચને મુખ્યમંત્રીની રૂ. ૧૩૫૦ કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ

Share

ભરૂચ, શનિવાર :- મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના સર્વાંગી વિકાસને નવી ગતિ આપતા રૂ. ૧૨૪૮.૫૭ કરોડના ૭૩ વિકાસ કાર્યોનું ખાતમૂહૂર્ત તેમજ રૂ.૧૦૨ કરોડના ૬૬ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરી ભરૂચના નાગરિકોને કુલ અંદાજિત રૂ. ૧૩૫૦.૬૮ કરોડના કુલ ૧૩૯ વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા જણાવ્યું હતું કે, શિક્ષણ, આરોગ્ય, રોડ નેટવર્ક, ખેતી, ઉદ્યોગ જેવા વિકાસના કોઈપણ કામ માટે નાણાની ક્યારેય કમી ન રહે તેવું સુદ્રઢ આયોજન વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્ય સરકારે કર્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને એક્સલન્સ સુધી અને પ્લેગ્રાઉન્ડથી લઈને પ્લગ એન્ડ પ્લે સુધીનો સર્વગ્રાહી વિકાસ વડાપ્રધાનશ્રીના ડેવલપમેન્ટ મિશનથી થઈ રહ્યો છે, ત્યારે શહેર-જિલ્લામાં જનપ્રતિનિધિઓની નવા વિકાસકામો માટેની રજૂઆત, લાગણી અને માંગણીને પૂર્ણ કરવા રાજ્ય સરકાર હરહંમેશ તત્પર છે.

ભરૂચના ઝાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિર સંકુલમાં આરોગ્ય રાજ્યમંત્રી અને ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ભરૂચ જિલ્લામાં આજે લોકાર્પિત અને ખાતમુહૂર્ત થયેલા માતબર રકમના પ્રોજેક્ટ્સ નાગરિકોના ‘ઈઝ ઓફ લિવિંગ’માં નોંધપાત્ર વધારો કરશે. માળખાગત સુવિધાઓથી લઈને શિક્ષણ અને આરોગ્ય સુધીના તમામ ક્ષેત્રોમાં થયેલા આ કામો ભરૂચના વિકાસમાં ચાવીરૂપ બનશે.

Advertisement

પૂણ્ય સલિલા મા નર્મદાના પાવન તટેથી કરોડોના વિકાસકામોની ભેટ આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ભરૂચ જિલ્લામાં આજે લોકાર્પિત અને ખાતમુહૂર્ત થયેલા આ પ્રોજેક્ટ્સ નાગરિકોના ‘ઈઝ ઓફ લિવિંગ’માં નોંધપાત્ર વધારો કરશે માળખાગત સુવિધાઓથી લઈને સ્પોર્ટ્સ, પરિવહન, શિક્ષણ અને આરોગ્ય સુધીના તમામ ક્ષેત્રોના શ્રેણીબદ્ધ પ્રકલ્પો ભરૂચ જિલ્લાના વિકાસમાં ચાવીરૂપ બનશે.

મુખ્યમંત્રીશ્રીએ ભૂતકાળના વિકટ દિવસોની યાદ અપાવતા કહ્યું કે, ૧૯૬૦માં જ્યારે ગુજરાત અલગ રાજ્ય બન્યું ત્યારે સંસાધનોની અછત હતી, દૂર દૂર સુધી વિકાસની સંભાવના નજરે પડતી ન હતી, પરંતુ ૨૦૦૧થી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની જે રાજનીતિ શરૂ કરી તેનાથી રાજ્ય આજે આત્મનિર્ભર બન્યું છે. વર્ષ ૨૦૦૧માં રાજ્યનું બજેટ માત્ર રૂ.૩૬,૦૦૦ કરોડ હતું, જે આજે વધીને રૂ.૪ લાખ કરોડને પાર થયું છે.

ઔદ્યોગિક હબ તરીકે ઉભરેલા ભરૂચના વિકાસને વધુ વેગવાન બનાવવા સાથે ભરૂચની એર અને રોડ કનેક્ટિવિટી વધારવા માટે મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરતા કહ્યું કે, ભરૂચ, અંકલેશ્વર, દહેજ અને સાયખા જેવા ઔદ્યોગિક વિસ્તારોને વૈશ્વિક સ્તરે જોડવા માટે અંકલેશ્વરમાં એરપોર્ટ ડેવલપમેન્ટનું કામ શરૂ કરાયું છે. અંકલેશ્વર-રાજપીપળાના ૪૪ કિમી લાંબા રોડને રૂ.૭૬૦ કરોડના ખર્ચે હાઇ-સ્પીડ કોરિડોરમાં અપગ્રેડ કરવાની કામગીરીનો આરંભ થયો છે, જેનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU) સુધી પહોંચવું સરળ બનશે. લોજિસ્ટિક્સ સુવિધા માટે ભરૂચ-દહેજ રોડને એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસવે બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

એક સમયે ભરૂચ જિલ્લા પંચાયતનું બજેટ ૩૦૦ કરોડ જેટલું હતું, જ્યારે આજે એક જ દિવસમાં જિલ્લા પંચાયત દ્વારા રૂ.૩૦૯ કરોડના કામોની ભેટ આપવામાં આવે છે. વિકાસની રાજનીતિ અને પ્રજાહિતના વિઝનનું આ જીવંત ઉદાહરણ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

રમત-ગમત અને યુવા શક્તિ ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા અભિયાનને વેગ આપવાના હેતુ સાથે ભરૂચમાં નવા જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થકી ૨ લાખથી વધુ યુવાનોના સપના સાકાર થશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ૨૦૩૦માં જ્યારે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ રમતો યોજાવાની છે, ત્યારે આવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પ્રતિભાશાળી નવયુવાનોને ઉમદા પ્લેટફોર્મ પૂરું પાડશે.

વિશ્વમાં ગ્લોબલ કેમિકલ હબ તરીકે ખ્યાતિપ્રાપ્ત ભરૂચ જિલ્લાના જંબુસરમાં એક હજાર એકરમાં દેશનો પ્રથમ બલ્ક ડ્રગ્સ પાર્ક આકાર લઈ રહ્યો છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ભરૂચ, નેત્રંગ, રાજપારડી અને જંબુસર ખાતે રૂ. ૫૦ કરોડના ખર્ચે બનનારા કોમર્શિયલ શોપિંગ સેન્ટર કમ રેસ્ટ હાઉસ સ્થાનિક વેપાર અને મુલાકાતીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. મા નર્મદાની પરિક્રમા કરતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે ભરૂચ અને ઝઘડિયામાં ૮ અલગ-અલગ સ્થળોએ વિશ્રામ હોલના નિર્માણથી શ્રદ્ધાળુઓ માટે પરિક્રમા વધુ આરામદાયક બનશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગ્રોથ હબ તરીકે સુરત ઇકોનોમિક રિજીયન હબમાં સરકારે ભરૂચનો સમાવેશ કર્યો છે, અને તેના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે તાજેતરમાં જ રૂ.૧૧૮૫ કરોડ મંજૂર કર્યા છે, ત્યારે ડબલ એન્જિન સરકારના પ્રયાસોથી વિકાસની ગતિ પણ ડબલ થઈ રહી છે, એમાં જણાવી ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’નો સંકલ્પ સાકાર કરવા સૌને યોગદાન આપવા આહવાન કર્યું હતું.
ગુજરાતના આરોગ્ય રાજ્યમંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ પોતાના ઉદબોધનમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલી વિવિધ વિકાસ કાર્યોની વણથંભી વણઝારની વિગતવાર વાત કરી હતી. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની સાચી પરિભાષા ગુજરાતમાં શરૂ કરાવી હતી. જેને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગ્રામ પંચાયતના સરપંચથી લઈને સાંસદ સુધીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જિલ્લાના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે, એમ કહી પ્રધાનમંત્રીશ્રીએ ભારતીય સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ થકી વિશ્વને વસુધૈવ કુટુંબકમ અને બહુજન હિતાય-બહુજન સુખાયનો નારો આપ્યો છે, જેને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે. સરકાર હંમેશાં અંત્યોદયના હિતમાં કાર્ય કરી દરેક યોજના સાચા લાભાર્થી સુધી પહોંચે તે દિશામાં કાર્ય કરી રહી છે.

ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, ભરૂચ જિલ્લામાં ગેર કાયદેસર થતું રેતી ખનન અટકાવી ભુમાફિયાઓ પર સરકાર દ્વારા કરાયેલી કડક કાર્યવાહીની ભરપૂર પ્રસંશા કરી હતી અને આ કાર્યવાહી દરમિયાન વસુલવામાં આવેલા દંડની રકમમાંથી ભરૂચ જિલ્લાના વિકાસ કાર્યોમાં આર્થિક સહયોગ મળી રહ્યો છે. જેનો સીધો લાભ સામાન્ય નાગરિકોને મળી રહ્યો છે. સાથોસાથ ભરૂચ જિલ્લાના આંતરિક રસ્તાઓ, હાઈવેની કામગીરી ખૂબ ચોકસાઈથી અને ઝડપભેર કરતા આ માળખાગત સુવિધાના કારણે જિલ્લાની ઔદ્યોગિક વસાહતોના વિકાસ અને વિસ્તરણને વેગ મળ્યો છે.

જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાએ સ્વાગત પ્રવચન કરતાં કાર્યક્રમની રૂપરેખા આપી જિલ્લામાં વહી રહેલી વિકાસની સરવાણી અંગે વિગતવાર જાણકારી આપી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય સર્વ  રમેશભાઈ મિસ્ત્રી,  અરૂણસિંહ રણા,  રિતેશભાઈ વસાવા, નગરપાલિકા પ્રમુખ  વિભૂતિબા યાદવ, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઈજનેર સી.પી.પટેલ, જિલ્લાના અગ્રણી પ્રકાશભાઈ મોદી, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય  દૂષ્યન્તભાઈ પટેલ,  મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સહિત જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં જિલ્લાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ઝઘડિયાનાં સોસાયટી રહીશોએ સરકારી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી રહેણાંક વિસ્તારમાં ટાવર નાખ્યા બાબતે વિરોધ વ્યક્ત કર્યો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં ફૂટવેરના વેપારીઓએ વધેલા જી.એસ.ટી. ના પગલે દુકાનો બંધ રાખી.

ProudOfGujarat

“માય લિવેબલ ભરૂચ “થકી ચાલતી કામગીરીમાં ઢીલાસ, લોકોની ટકોર સામે સુપરવાઈઝરના ઉદ્ધતાઈ ભર્યા જવાબ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!