વાંકલ : ઉમરપાડા અને માંડવી પોલીસ દ્વારા કબ્જે કરાયેલા વાહનોના માલિકોને તેમના વાહનો પરત લઈ જવા માટે આખરી તક આપવામાં આવી છે. અનેક વખત ટપાલ દ્વારા નોટિસ પાઠવ્યા છતાં વાહનમાલિકોએ પોતાનો દાવો રજૂ કર્યો નથી.
માહિતી મુજબ, માંડવી પોલીસ સ્ટેશન દ્વારા પશુ સંરક્ષણ હેઠળ કબ્જે કરાયેલ સી-સ્પાર્ક મોડેલની કાર અને ઉમરપાડા પોલીસ સ્ટેશન દ્વારા કબ્જે કરાયેલ બોલેરો વાહન અંગે માલિકોને વારંવાર જાણ કરવામાં આવી હતી. છતાં પણ વાહનો છોડાવવા કોઈ આગળ આવ્યું નથી.
માંડવી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, વાહનોના માલિકો અથવા હક્કદારોને વધુ એક અંતિમ તક આપવામાં આવી રહી છે. જો આ તક છતાં કોઈ દાવો કરવામાં નહીં આવે, તો તે વાહનો હરાજીની પ્રક્રિયા દ્વારા વેચવામાં આવશે.
વાહનોની યાદી માંડવી અને ઉમરપાડા પોલીસ સ્ટેશનના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવી છે. ઉપરાંત સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસની સત્તાવાર વેબસાઇટ http://spsurat.gujarat.gov.in પર પણ આ વિગતો ઉપલબ્ધ કરવામાં આવી છે.
પોલીસ દ્વારા વાહનમાલિકોને સમયસર પોતાના હક્કનો દાવો રજૂ કરવા અપીલ કરવામાં આવી છે, જેથી તેઓ પોતાના વાહનો પરત મેળવી શકે.
