બાળકો, બિમાર લોકો તેમજ વૃદ્ધની હાલત અતિ દયનિય, વોર્ડ-૨ના કોંગ્રેસના સભ્યોની વીજ વિભાગના નાયબ ઈજનેરને રજૂઆત
। ભરૂચ ।
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર-૨ માં રહેતાં લોકો છેલ્લા કેટલાંય સમયથી વીજકાપથી પરેશાન થઈ રહ્યાં છે. વીજ કંપની દ્વારા છેલ્લા ઘણા દિવસોથી આ વિસ્તારમાં અનિયમિત રીતે વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. જેના કારણે સ્થાનિક રહિશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં ભારે ગરમીનો માહોલ છે ત્યારે રાત્રીના સમયે ૪થીપ વાર વીજ પુરવઠો ખોરવાય છે જેના કારણે બાળકો, બિમાર લોકો તેમજ વૃદ્ધોની હાલત અતિ દયનિય બની છે.
ખાસ કરીને શહેરના ઢાંગરવાડ, મુંડા ફળિયા, ડભોઈયાવાડ, સિંધીવાડ, સુધાર ફળિયા સહિતના આસપાસના વિસ્તારમાં તેમજ મદીનાપાર્ક, અહેમદ નગર વિસ્તારમાં સ્થિતી વધુ ગંભીર બની છે. આ વિસ્તારમાં રાત્રીના સમયે ડીપીમાં આગ લાગવાની ઘટનાઓ બને છે. જેના કારણે મોટી દુર્ઘટના સર્જાવાની ભિતી સતત રહે છે. કેટલીકવાર વોલ્ટેજ સમસ્યા સર્જાય છે ત્યારે લોકોના પરના વીજ ઉપકરણો પણ ફૂંકાઈ જાય છે. ત્યારે વીજ કંપની દ્વારા દર ચોમાસા પહેલાં કરાતી પ્રિમોન્સુનની કામગીરી બાદ પણ ચોમાસામાં સતત વીજ પુરવઠો ખોરવાતો હોય છે. જોકે, તે સમયે વરસાદી માહોલને કારણે એકંદરે વાતાવરણમાં આંશિક ઠંડક હોવાથી ચોમાસાની કે શિયાળાની રાત્રીમાં થતો વીજ વિક્ષેપ લોકો સહન કરી શકે છે. જોકે, ઉનાળામાં સ્થિતી એકદમ ઉલટ હોય છે. ઉનાળામાં ગરમીથી બચવા માટે લોકો પંખા, એસીના સહારે હોય છે. તે જ સમયે વીજ વિશેષ થાય ત્યારે લોકો રાત્રીના સમયે પરસેવે રેબઝેબ થઈ જાય છે. શહેરના વોર્ડ નં. ૨માં અનેક ગરીબ પરિવારજનોમાં નાના બાળકો, બિમાર લોકો તેમજ વૃદ્ધોની હાલત ખુબ જ દયનિય બની જાય છે. વીજ પુરવઠો એ લોકોની પ્રાથમિક સુવિધાઓ પૈકીની એક છે ત્યારે તેમને તે અવિરત મળે તે માટે વોર્ડ નંબર રના સભ્યો સમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સફી સલ્લુ, જાકીર કુરેશી, ઈકબાલ પટેલ દ્વારા વીજ વિભાગના નાયબ ઈજનેરને રજૂઆત કરી વહેલી તકે સમસ્યાનો નિકાલ લાવવા માંગ કરી હતી.
