ભરૂચ જિલ્લામાં શાળા છોડતા બાળકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે ‘અર્લી વોર્નિંગ સિસ્ટમ’ અને ‘મિશન બેક ટુ સ્કૂલ’ જેવી પહેલ અમલમાં મૂકવામાં આવી છે, જેના દ્વારા શાળા છોડવાના જોખમવાળા વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને ફરી શિક્ષણ સાથે જોડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
વર્ષ 2025-26 દરમિયાન સીટીએસ પોર્ટલ પર નોંધાયેલા વિદ્યાર્થીઓના ડેટાના આધારે જિલ્લામાં ધોરણ 1 થી 10 સુધીના કુલ 75,930 બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે માટે અલગ-અલગ ટીમો બનાવી ગામ અને શહેર વિસ્તારોમાં ઘરઘર જઈ માહિતી એકત્રિત કરવામાં આવી હતી. સર્વે દરમિયાન 3,254 બાળકો એવા સામે આવ્યા હતા જે ડ્રોપઆઉટ થવાના જોખમ હેઠળ હોવાનું જણાયું હતું. તેમાં સૌથી વધુ સંખ્યા ધોરણ-10ની પરીક્ષામાં નિષ્ફળ ગયેલા વિદ્યાર્થીઓની હોવાનું સામે આવ્યું છે.
આ સાથે ‘મિશન બેક ટુ સ્કૂલ’ અંતર્ગત પોસ્ટ સર્વે પણ હાથ ધરાયો હતો. જેમાં જાણવા મળ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં ભરૂચ જિલ્લામાં કુલ 16,174 વિદ્યાર્થીઓ અભ્યાસ વચ્ચે જ શાળા છોડી ચૂક્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા દરેક બાળકના ઘરે પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં અત્યાર સુધી 15,453 બાળકોનો સંપર્ક કરવામાં સફળતા મળી છે.
સર્વે દરમિયાન જાણવા મળ્યું કે 2,239 બાળકો અન્ય સ્થળે સ્થળાંતર કરી ચૂક્યા છે, જ્યારે 4,103 વિદ્યાર્થીઓ આઈટીઆઈ અને ડિપ્લોમા જેવા ટેક્નિકલ અભ્યાસક્રમોમાં જોડાયા છે. શિક્ષણ વિભાગે વાલીઓ સાથે સીધી મુલાકાત કરી સમજાવટ કરતા અત્યાર સુધીમાં 1,497 બાળકોને ફરી શાળામાં પ્રવેશ અપાવવામાં સફળતા મળી છે.
તેમ છતાં સૌથી વધુ ચિંતાજનક બાબત એ સામે આવી છે કે 6,570 બાળકો એવા છે જેમણે અથવા તેમના વાલીઓએ અભ્યાસ ચાલુ રાખવાનો ઇન્કાર કર્યો છે. આ ઉપરાંત 549 બાળકો એવા છે જે ‘અનટ્રેક’ છે, એટલે કે તેઓએ એલસી લઈ લીધી છે પરંતુ હાલમાં તેઓ ક્યાં અભ્યાસ કરે છે કે શું કરે છે તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
