– ભાજપના ગઢ સમાન ગણાતી સોસાયટીમાં જ ગાબડું…કામગીરી ચાલુ નહીં થાય તો ચૂંટણીના બહિષ્કારની ચીમકી…
– જિલ્લા વહીવટીતંત્ર અને હાઇકોર્ટના આદેશ બાદ પણ નગરપાલિકા દ્વારા કામગીરી ન કરાતી હોવાના આક્ષેપ.
– સોસાયટીના રહીશો રસ્તા ઉપર…રોડની કામગીરી વહેલી તકે શરૂ કરવા માંગ…
ભરૂચના અનેક વિસ્તારોમાં વિકાસનાં કામો અધુરા છોડી દેવાયા છે જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભરૂચની નારાયણ નગર ચાર સોસાયટીમાં રાજકીય ઈશારે રોડ રસ્તા પાણી અને ડ્રેનેજ લાઇનની કામગીરી અધૂરી છોડી દેવાના કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જેના પગલે સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ વિકાસના કામોમાં રોડા નાંખવાનું કામ કરી રહ્યા હોવાના આક્ષેપો કર્યા છે. પાંચ દિવસમાં કામગીરી નહીં થાય તો ભરૂચ નગરપાલિકાને ઘેરાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પણ અણસારો વર્તાઇ રહ્યા છે પરંતુ પાંચ વર્ષ નગરસેવકો કેટલાય વિસ્તારોમાં ફરકયા ન હોવાના આક્ષેપો થયા છે ત્યારે ભરૂચના ભાજપના ગઢ સમાન ગણાતા લિંક રોડ ઉપરની નારાયણ નગર 4 સોસાયટીમાં જ રાજકીય ઈશારે રોડ રસ્તા ડ્રેનેજ લાઈન અને પીવાના પાણીની પાઇપલાઇનની કામગીરી અધૂરી છોડી દેવાના કારણે વિવાદનો મધપુડો છંછેડાયો છે. જોકે સ્થાનિક રાજકીય નેતાઓના ઇશારે ભરૂચ નગરપાલિકાના કેટલાક અધિકારીઓ કામ કરી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સોસાયટીના રહીશોએ ભરૂચ કલેકટરને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકાના અધિકારીઓનાં પેટનું પાણી હલતું નથી. તદુપરાંત હાઇકોર્ટના આદેશનું પાલન ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ ન કરતા હોવાના આરોપ નારાયણ નગર સોસાયટીના રહીશો કરી રહ્યા છે. અધુરી કામગીરીના કારણે રોડ ઉપર જ મેટલ, રેતી કપચીના ઢગલાઓના કારણે પણ ઘરમાંથી નીકળવું બાળકોને મુશ્કેલી પડી ગયું છે. છેલ્લા ઘણા સમયથી અધુરી કામગીરીના કારણે હવે સોસાયટીના રહીશોએ આંદોલનનું રણશિંગું ફૂંકવાની ચીમકી ઉચ્ચારી છે.
