Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : 212 વર્ષથી ઉજવાતા મેઘરાજા અને છડી ઉત્સવનો કોરોના ગાઈડલાઇન સાથે તા.29 થી પ્રારંભ, જાણો શું છે દંતકથા.

Share

મેઘરાજા અને છડીનો તહેવાર એકમાત્ર એવો ઉત્સવ છે જે વિશ્વભરમાં માત્ર ભરૂચ જીલ્લામાં જ ભોઇ સમાજ દ્વારા ઉજવાઇ છે. શહેરમાં વસતા ભોઇ સમાજ દ્વારા ઉજવાતા 212 વર્ષ કરતા પણ વધુ સમયથી એકમાત્ર શહેરમાં ઉજવાતા ઐતિહાસિક પરંપરાગત તહેવાર મેઘરાજા અને છડી ઉત્સવનો શ્રાવણ વદ સાતમથી પ્રારંભ થયો છે. મેળાના પ્રથમ દિવસે ભોઈ, ખારવા અને વાલ્મિકી સમાજે બનાવેલી છડીઓની શાસ્ત્રોકત વિધિથી પૂજા- અર્ચના કરવામાં આવી હતી. 60 ફૂટ ઉંચી વાંસની બનેલી છડીઓને છડીદારો તેમના વિસ્તારોમાં નચાવામાં આવે છે. દર વર્ષે શહેરમાં મેઘમેળાને મહાલવા રાજયભરમાંથી માનવ મહેરામણ ઉમટવાનું શરૂ થઈ જાય છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનરૂપી મહામારીને કારણે મેળો ભરાઈ રહ્યો નથી આ વર્ષે પણ મેઘરાજાને દર્શનાર્થે ભક્તો માટે કોરોના ગાઈડલાઇનનું પાલન કરી અને ખુલ્લા મૂકવામાં આવ્યા છે.

કહેવાય છે કે, શહેરમાં શ્રાવણ વદ સાતમથી દસમ સુધી ભોઇ સમાજ દ્વારા ઉજવાતા મેઘરાજા ઉત્સવ સાથે પ્રાચિનકાળની દંતકથા વર્ણાવેલી છે. જ્યારે પ્રાચીનકાળમાં યાદવવંશની ભોઇજાતિ (જાદવ જ્ઞાતિ) ફૂરજા બંદરે દરિયા કિનારે માલસામાનની હેરાફેરી કરવામાં આવતી હતી. તે સમય ગાળા દરમિયાન છપ્પનિયા દુકાળ પડયો હતો. તે સમયે સમાજની જળાધિદેવ મેઘરાજાના પૂજન માટે તેઓની શ્રધ્ધા અચળ હતી. તેથી ભોઈ સમાજના લોકોએ ફૂરજા બંદરે નર્મદા નદીની માટી લાવીને મેઘરાજાની પ્રતિમા બનાવી તેનુ વિધીવત પૂજન કરાયુ હતું.

ઘોઘારાવનું એક માત્ર મંદિર ભરૂચમાં આવેલું છે. દેશના ઘણાં શહેરોમાં છડી ઉત્સવની ઐતિહાસિક દંતકથા ધરાવે છે. છડી ઉત્સવના દેવને ઘોઘારાવ તેમજ જાહેરબલી પણ કહે છે. ઘોઘારાવ મહારાજનું મંદિર માત્ર ભરૂચમાં આવેલુ છે. ઘોઘારાવનો ઉત્સવ સાતમથી નોમ સુધી ઉજવાઇ છે. જેમાં ભોઇ, ખારવા અને વાલ્મિકી સમાજ દ્વારા નીકળતી 40 થી 60 ફૂટની 3 છડી આકર્ષણનું કેન્દ્ર બને છે. ભરૂચમાં છપ્પનિયા દુકાળ બાદ મેઘરાજાને રીઝવવા માટે ભોઈ સમાજ દ્વારા મેઘરાજાની પ્રતિમા સ્થાપન કરીને ભજન કીર્તન કરીને અને જો વરસાદ નહીં પડે તો તેમની મૂર્તિને ખંડિત કરવાની ઘોષણા કરતા મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.

ત્યારથી સમાજ 212 થી પણ વધુ વર્ષથી મેઘરાજાની સ્થાપના કરાય છે. સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા અષાઢી સુદ ચૌદશની રાતે નર્મદા નદીની માટીમાંથી 250 થી 300 કિલો સુધીની મેઘરાજાની પ્રતિમા બનાવાય છે. જેમને સુંદર આભુષણો અને વસ્ત્રોથી સુશોભિત કરાઇ મૂર્તિ‌ના માથા પર ફેણીદાર નાગ ગોળ પાઘડી ફરતે વીટળાય છે. વર્ષોથી બનાવાતી મેઘરાજાની પ્રતિમા એક સરખી બેઠક અને સરખા આકારમાં જ બને છે. જો જળદેવતા પૃથ્વી ઉપર મહેરબાન નહિ‌ થાય તો ભોઇ સમાજના વડવાઓએ મૂર્તિ‌ને નષ્ટ કરવાની ઘોષણા કરતા આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાવા સાથે જળદેવતાએ અમૃતવર્ષા કરી હતી. ત્યારથી સમાજ આગેવાનો અને યુવાનો દ્વારા અષાઢ વદ અમાસની રાત્રે મેઘરાજની માટીની પ્રતિમા બનાવી સાતમ,આઠમ, નોમ સુધી તેની સ્થાપના કરીને દસમના દિવસે નર્મદા નદીમાં વાજતે ગાજતે નર્મદામાં મેઘરાજાની પ્રતિમાનું વિસર્જન કરાય છે. જયારે શહેરમાં ભોઈ,ખારવા અને વાલ્મિકી સમાજ દ્વારા 60 ફૂટ ઉંચી વાંસની છડીની પણ સ્થાપના કરીને છડી નોમના દિવસે તેની સમાજના છડીદારો નચાવતા હોય છે.

ભરૂચમાં 4 દિવસીય મેઘરાજા અને છડીના ભાતીગળ મેળામાં લાખો માનવ જન મેદની ઉમટી પડે છે. ત્યારે મેળામાં લાગેલા સ્ટોલો પર સવારથી રાત્રીના 11 કલાક સુધી હજારો લોકો ખાણીપીણી, રમકડાં, વસ્ત્રો, ગૃહ સુશોભન, સૌંદર્ય પ્રસાધનો, છૂંદણાવાળા, ટેટૂ, કટલરી, હસ્તકલા, ગૃહઉદ્યોગ, ઘરવખરી સહિતની અવનવી ચીજવસ્તુઓ ખરીદી કરવા પડાપડી કરતા આપને જોવા મળતું હોય છે પરંતુ આ વર્ષે કોરોના કેસમાં વધારો ન થાય તે માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું નથી માત્ર મેઘરજના દર્શન માટે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ રાખી અને દર્શન કરવાના રહેશે.

રિદ્ધિ પંચાલ, ભરુચ

Advertisement

Share

Related posts

નીતિન પટેલને મોતની ધમકી આપનારા બે માલધારી યુવકોની ધરપકડ

ProudOfGujarat

રાજપીપળા : કોરોના વિરોધી રસીકરણ અભિયાન સંદર્ભે નર્મદા ડિસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઇ.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ઝંખવાવની શ્રી ક્રિષ્ના વિદ્યાલય ખાતે ૭ મો ‘વાર્ષિક મહોત્સવ’ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!