તાજેતરમાં જ ભરૂચ જિલ્લામાં ખરાબ માર્ગ અને ખાડા ઓના કારણે સર્જાયલ અકસ્માતમાં ત્રણથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, તો કેટલાક બનાવોમાં લોકોએ ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર લેવાની નોબત પણ આવી છે, ભરૂચના નંદેલાવ વિસ્તારમાં મઢુલી સર્કલ પાસે થોડા દિવસો અગાઉ માર્ગ અકસ્માતમાં પાંચ વર્ષીય બાળકી ધ્યાનીએ જીવ ગુમાવ્યો હતો તો માતા અને દાદા ઈજાગ્રસ્ત થયા હતા જે બાદ લોકોએ આક્ષેપ કર્યા હતા કે ખરાબ માર્ગના કારણે અહીંયા અકસ્માતોની ઘટના સર્જાઈ રહી છે.
ખરાબ માર્ગની એક જ પ્રકારે અકસ્માતની અન્ય એક ઘટના થોડા દિવસો અગાઉ નેત્રંગના બલદવા ગામ નજીક બની હતી જ્યાં રસ્તા પરનો ખાડો બચાવવા જતા કાર ડેમના પાણીમાં ખાબકી હતી જેમાં સવાર દંપતી સહિત બાળકીએ જીવ ગુમાવ્યો હતો, જે બાદ લોકોમાં પણ ખરાબ માર્ગોને લઇ હવે તંત્ર સામે આક્રોશ ઉભો થઈ રહ્યો છે, આજે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે સ્થાનિક લોક અધિકાર મંચના નેજા હેઠળ રસ્તાના કારણે ઇજાગ્રસ્ત થયેલ પીડિતોને સાથે રાખી આંખે કાળી પટ્ટી ધારણ કરી મૃતકોની શ્રદ્ધાંજલિ આપતા પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સ્થાનિક લોક અધિકાર મંચ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે હાલ ભરૂચ જિલ્લામાં મોટા ભાગના રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે, અને મોટા મોટા જોખમી ખાડાઓ રોડ પર પડેલા છે, સરકાર સમારકામની અનદેખી કરી રહી છે, જેને લઇ ભરૂચ જિલ્લામાં બિસ્માર રોડના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે, અને પરિવારો વિખરાઈ રહ્યા છે, પણ તંત્રનું પેટનું પાણી હલતું નથી અને તંત્ર ધોર નિદ્રામાં ઊંઘી રહ્યું છે, સહિતના આક્ષેપો કરવામાં આવ્યા હતા.
લોકો સરકારને રોડ ટેક્સ અને ટોલ ટેક્સ ચૂકવ્યા પછી પણ ખરાબ વાળા રોડને લીધે પોતાના વાહનોનું અને પોતાના શરીરનું પણ મેઇન્ટનન્સ કરવા પાછળ ઘણો મોટો ખર્ચો કરવો પડે છે અને જીવ પણ ગુમાવ્યા છે, સાથે જ કેરળ હાઇકોર્ટે કરેલ હુકમનો પણ ઉલ્લેખ કર્યો હતો કે રસ્તાના ખાડાના કારણે અકસ્માતો માટે જિલ્લા કલેક્ટર જવાબદાર છે તેમ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
સ્થાનિક લોક અધિકારી મંચ દ્વારા માંગ કરવામાં આવી હતી કે ભરૂચ જિલ્લાના ખરાબ જર્જરિત ખાડાવાળા રસ્તાને કારણે જે લોકોના મૃત્યુ થયેલા છે,તે તમામને વ્યક્તિ દીઠ રૂ. ૧૦,૦૦,૦૦૦ નું વળતર આપવામાં આવે તેમજ કાયમી ખોડવાળા ઇજાગ્રસ્તોને રૂ.૫,૦૦,૦૦૦ અને સામાન્ય ઇજાગ્રસ્તોને રૂ.૨,૦૦,૦૦૦ વળતર આપવામાં આવે સાથે સાથે ઘરના કમાનાર એવા મૃત્યુ પામનાર ઇસમના બાળકોને તે કમાતા થાય ત્યાં સુધી અને માતા પિતાને તેઓની હયાતી સુધી દરેકને દર મહિને ૧૦,૦૦૦ નું વળતર આપવામાં તેમજ રોડ ટેક્સ ચૂકવનાર દરેક વાહનનો ડ્રાઇવર, માલિક, પેસેન્જર, રાહદારી સહિતનો સરકાર દ્વારા રૂ,૫૦,૦૦,૦૦૦ નો વિમો આપવામાં આવે તેવી આવેદનપત્ર માંગ કરી હતી.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744
