આમોદ – જંબુસરમાં રાત્રીના સમયે કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતાતૂર
ખેતરોમાં સુકવવા નાંખેલા કઠોળ સહિતના પાકને નુકસાનની ભિતી
ભરૂચ.
આમોદ-જંબુસર પંથકમાં ગત રાત્રે કમોસમી વરસાદ થતાં ખેડૂતોના માથે ચિંતાની લકીર ઉપસી આવી છે. કાળઝાર ગરમીમાં વરસાદી માહોલ જામતાં એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, તેની સાથે સાથે પાકને નુકસાન થવાની ચિંતા પણ ખેડૂતોને સતાવી રહી હતી.
ભરૂચ જિલ્લામાં માર્ચના અંતિમ અને એપ્રિલ મહિનાની શરૂઆતના દિવસોએ જાણે સ્પષ્ટ કરી દીધું હતું કે, આ વર્ષે આગઝરતી ગરમીનો સામનો કરવો પડશે. છેલ્લાં એક સપ્તાહથી 39થી 42 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાને કારણે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યાં હતાં. ત્યારે અસહ્ય ગરમી વચ્ચે આમોદ અને જંબુસર પંથકમાં શુક્રવારે રાત્રીના સમયે વાતાવરણમાં પલટો અનુભવાયો હતો. ઠંડા ભારે પવનો ફુંકાવા સાથે ગાજવીજથી કમોસમી વરસાદ વરસવાનો શરૂ થઇ ગયો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જોકે, ખેડૂતોના લલાટ પર ચિંતાની લકીરો ઉપસી આવી હતી. પંથકના ખેડૂતોએ હાલમાં તુવેર તેમજ મગ સહિતના કઠોળપાક કાપીને ખેતરમાં તેમજ ખળી વિસ્તારમાં સુકાવવા મુક્યાં છે. ત્યારે અચાનક વરસાદ વરસતાં ખેડૂતોમાં દોડધામ મચી ગઇ હતી. તેમણે યેનકેન પ્રકારે પાક સંરક્ષણ માટેના પગલાં ભર્યાં હતાં. જોકે, વરસાદી માહોલ જામી જતાં તેમને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ભારે વરસાદ અને પવનને કારણે કેટલાંક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઇ ગયો હતો. જોકે, વીજ કર્મીઓએ એક્શનમાં આવી વીજ પુરવઠો પુન: કાર્યન્વિત કરવાની કવાયત હાથ ધરી હતી.
