ભરૂચ.
ભરૂચ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા આોજન ભવનના સભાખંડમાં મળી હતી. બેઠકમાં વિવિધ પ્રશ્નો અંગે ઝડપી કાર્યવાહી કરવા કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. બેઠકમાં જન પ્રતિનિધિઓએ ડીજીવીસીએલ, જમીન શાખા, ખાણ અને ખનીજ વિભાગ, ડી.આઈ.એલ.આર., નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા, બીએસએનએલ વિભાગ, દબાણ હટાવની કામગીરી જેવા પ્રજાલક્ષી પ્રશ્નો મુદ્દાઓ ઉપર વિસ્તૃત રીતે ચર્ચા વિચારણા કરી હતી. આ પ્રશ્નો સંદર્ભે સંબંધિત અધિકારીઓએ જવાબ રજૂ કર્યા હતા.
ગ્રામ્ય અને શહેરી વિસ્તારના આંતિરક અને અન્ય રસ્તાઓ સાથે જોડતા રસ્તાઓનું ચોમાસા પહેલા પેચવર્ક કરવા, ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને પ્રજાજનોના પીવાના પાણીના પ્રશ્નો અને સિંચાઈને પાયોરિટીમાં લઈ તેને હલ કરવા સહિતના પ્રજાલક્ષી પ્રશ્નોની રજુઆત સામે પરામર્શ અને નિરાકરણ માટે જિલ્લા કલેકટર જન પ્રતિનિધિઓ દ્વારા રજુ કરાવેલા પ્રશ્નો ધ્યાને લઈ ઉપસ્થિત લગત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
વધુમાં તપાસણીને લગતી બેઠક અને રિવ્યુ કામગીરી સમયાંતરે કરવા તેમજ પ્રશ્નોનો સત્વરે નિકાલ આવે તે દિશામાં ત્વરીત કામગીરી હાથ ધરવા તાકીદ કરી લોકોની જરૂરિયાતો અને તેમના પ્રશ્નોને પ્રાથમિકતા આપી સમય મર્યાદામાં કામો પુર્ણ કરવા અંગે સુચનો કર્યા હતા. આ બેઠકમાં ધારાસભ્ય સર્વે તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રીત કરીને સુનિશ્ચિત સમય મર્યાદામાં પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. આ તકે અધ્યક્ષસ્થાનેથી આગામી ચોમાસાની ઋતુ પહેલા સુજલામ સુફલામ યોજના લોકભાગીદારીના કામો કરવા વિભાગના અધિકારીઓને સુચનો આપ્યા હતા. ચોમાસા પહેલા કેચ ધ રેઈન અભિયાન અંતર્ગત રેઈન-વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાના ટુંકા ગાળાનું આયોજન કરી કામગીરી કરવા જણાવ્યુ હતુ.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, ડી.કે.સ્વામી, રિતેશ વસાવા, જિલ્લા પોલીસવડા મયુર ચાવડા, પ્રાયોજના વહીવટદાર, નિવાસી અધિક કલેકટર એન.આર.ધાંધલ, પાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ સહિતના સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
