ભરૂચમાં વીએચપીના આગેવાનોએ કલેકટરને આવેદન આપ્યુ
વકફ કાયદાના વિરોધ બાદ પશ્ચિમ બંગાળમાં ભડકી હિંસા
મુર્શિદાબાદથી શરૂ થયેલી અશાંતિ આખા રાજયમાં ફેલાઈ
ભરૂચ.
વકફ બોર્ડ સંબોધન અધિનિયમ પસાર થયા બાદ લઘુમતી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં હિંસક પ્રદર્શન થઈ રહ્યુ છે અને હિન્દુઓ પર હિંસક હુમલાઓ સાથે સંપત્તિઓ લુંટવા સાથે હત્યાઓ થઈ રહી છે. જેના કારણે હિન્દુઓ પલાયન કરી રહ્યા છે જેના વિરોધમાં આજરોજ વિશ્વ હિન્દુ પરિષદના લોકોએ ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ભરૂચ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યુ હતુ કે, કોલકત્તા ૧૯ એપ્રિલ ૨૦૨૫ વકફ કાયદાના વિરોધના નામે પશ્ચિમ બંગાળમાં ભડકેલી હિંસાએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. મુર્શિદાબાદ જિલ્લામાં શરૂ થયેલી અશાંતિ હવે અન્ય જિલ્લાઓ સુધી વ્યાપી છે અને હિન્દુ સમુદાયને નિશાન બનાવવાના આક્ષેપો વચ્ચે રાજય સરકારની કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. જેમાં હિંસક ટોળાએ ૧૧ એપ્રિલના રોજ મુર્શિદાબાદના ૨૦૦ થી વધુ હિન્દુઓના ઘરો અને દુકાનો લુંટીને આગ ચાંપી હતી. આ હિંસામા ત્રણ લોકોના મોત થયા છે જયારે અનેક લોકો થાયલ થયા છે. પીડીતા મહિલાઓ પર દુર્વ્યવહાર અને શરણાર્થી બનેલા ૫૦૦ થી વધુ હિન્દુ પરિવારોને પોતાનું વતન છોડવાનું બન્યુ છે. સ્થિતિ વધુ ઉગ્ર બને તે પહેલા રાજકીય દાવપેચો પણ તીવ્ર બન્યા છે. વિપક્ષોએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ગંભીર આરોપ મુકતા જણાવ્યુ છે કે તેઓ હિંસા અટકાવવાને બદલે ઉશ્કેરનાર તત્વોને મળીને સંકેત આપી રહ્યા છે.
ખાસ કરીને એક ઈમામ સાથે મુખ્યમંત્રીની બેઠક પછી રાજકીય ગરમાવો વધુ ઘેરાયો છે. જેઓએ હમણાં જ ધમકીજનક નિવેદન આપ્યુ હતુ. હિંસાની ગંભીરતા સામે દેશભરના અનેક હિન્દુ સંગઠનો અને નાગરિકો દ્વારા કેન્દ્રીય સરકારને તાત્કાલીક પગલા લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યુ છે. જેમાં રાજયમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાદવુ, હિંસાની એનઆઈએ દ્વારા તપાસ કરાવવી, કાયદો વ્યવસ્થાની જવાબદારી કેન્દ્રને આપવી, ઘુસણખોરોને ઓળખી હાંકી કાઢવા કાર્યવાહી અને બાંગ્લાદેશ સરહદ પર તરત વાયર નાખવાની કામગીરી શરૂ કરવાની માંગ કરી છે.
