વાંકલ :: ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ. નાની નરોલી શાળા ખાતે ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ફાયર સેફ્ટી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફને આગની ઘટનાઓથી બચાવવા અને સલામતી અંગે જાગૃત કરવાનો હતો.

આ તાલીમ કાર્યક્રમમાં જી.આઈ.પી.સી.એલ.પ્લાન્ટની ફાયર ટીમના નિષ્ણાતોએ હાજરી આપી હતી. ફાયર ટીમના સભ્યોએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આગના વિવિધ પ્રકારો વિશે માહિતી આપી હતી. સાથે જ, જુદા જુદા પ્રકારની આગને બુઝાવવા માટે ઉપયોગમાં લેવાતા અગ્નિશામક સાધનો વિશે પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
તાલીમ દરમિયાન, ફાયર ટીમના સભ્યોએ ફાયર સેફ્ટી વિક શા માટે મનાવવામાં આવે છે તે અંગે પણ મહત્વની માહિતી શેર કરી હતી. તેમણે જણાવ્યું કે આ સપ્તાહ લોકોને આગથી સુરક્ષિત રહેવા અને તેના જોખમો વિશે જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ફાયર ટીમના સભ્યો પાસેથી આગ સલામતી સંબંધિત ઘણા પ્રશ્નો પૂછીને પોતાની જિજ્ઞાસા સંતોષી હતી. શાળાના આચાર્યશ્રીએ જી.આઈ.પી.સી.એલ.ની ફાયર ટીમનો આ માહિતીપ્રદ અને ઉપયોગી તાલીમ માટે આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આવી તાલીમ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કટોકટીની પરિસ્થિતિમાં યોગ્ય રીતે વર્તવા માટે સક્ષમ બનાવશે.
આ પ્રકારના તાલીમ કાર્યક્રમો શાળામાં નિયમિત રીતે યોજવા જોઈએ, જેથી વિદ્યાર્થીઓ અને સ્ટાફ હંમેશા સુરક્ષા માટે સજ્જ રહે.
