કેન્દ્ર સરકારની સુચનાને લઈને ભરૂચ પોલીસે તુરંત એક્શન લીધા
૧૪મી એપ્રિલે આવેલી સઈદાબીબી ૨૬મી જૂન સુધી રોકવાની હતી
ભરૂચ
કાશ્મીરના પહેલગામ ખાતે બનેલી આતંકી હૂમલાની ઘટના બાદ કેન્દ્ર સરકારે કડક પગલા ભર્યાં છે. પાકિસ્તાની નાગરિકોને ૪૮ કલાકમાં ભારત દેશ છોડી દેવા અલ્ટીમેટમ આપ્યું છે ત્યારે ભરૂચના હાંસોટ ખાતે એક સંબંધીને ત્યાં આવેલી પાકિસ્તાની મહિલાને પોલીસે તાત્કાલિક તેમના દેશ પરત મોકલવાની કવાયત હાથ ધરી હતી. શુક્રવારે સવારે મહિલાએ અટારી બોર્ડર પાર કર્યાની માહિતી સાંપડી રહી છે. ત્યારે પાકિસ્તાની નાગરિકને પરત મોકલવાનો આ રા જ્યનો પહેલો કિસ્સો છે.
૨૨મી એપ્રિલના કાશ્મીરના પહેલગામ ખાતે આવેલી બેસરન ખીણમાં થયેલાં આતંકી હૂમલાએ માનવતાને શર્મશાર કરી છે. પહેલગામ હુમલામાં લશ્કર-એ- તૈયબાના હાફિઝ સઈદની ભુમિકા હોવાનું મનાઈ રહ્યું છે. ત્યારે ઘટના બાદ દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ઘટનાને લઈને કેન્દ્ર સરકારે પણ ત્વરિત એક્શનમાં આવી ભારતમાં શોર્ટ ટર્મ વિઝા પર આવેલાં નાગરિકોને ૪૮ કલાકમાં પરત મોકલવાનો નિર્ણય લીધો હતો. જેના પગલે ભરૂચ પોલીસ વિભાગ તુરંત એક્શનમાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં કુલ ૧૬ જેટલાં પાકિસ્તાનીઓ આવેલાં હોવાનું માલુમ પડ્યું હતું. જોકે, તે પૈકી માત્ર એક મહિલા જ શોર્ટ ટર્મ વિઝા પર આવેલી હોવાનું માલુમ પડ્યું હતું. મહિલાનું નામ સઈદાબીબી હોવાનું તેમજ તે ગત ૧૪મી એપ્રિલના રોજ ભારતમાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું આગામી ૨૬ જૂન સુધી તે ભરૂચમાં રોકાવાના હતાં પણ તેમને સરકારની સુચનાને લઈને તુરંત ભરૂચથી અટારી બોર્ડર મોકલવામાં આવ્યાં છે.
