ગામના ખેડૂતોએ કલેક્ટરને લેખિતમાં આવેદન આપ્યું
વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાને પણ રજૂઆત કરી
ભરૂચ.
વાગરા તાલુકામાં આવેલાં કલાદરા ગામે આવેલી જેએસડબલ્યુ સર્વર ફિલ્ડ સ્ટ્રક્ચર્સ કંપની દ્વારા હાલમાં બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જેમાં કંપનીની પાછળ આવેલાં ખેતરોને જોડતો રસ્તો પણ કંપની દ્વારા બંધ કરી દેવાતાં 70થી 80 જેટલાં ખેડૂતોનો ખેતરમાં જવાનો રસ્તો બંધ થઇ જતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઇ છે. સોમવારે ગામના અસરગ્રસ્ત ખેડૂતો તેમજ આગેવાનોએ કલેક્ટરને આવેદન પત્ર આપી કંપનીની પાછળ આવેલી ખેતીની જમીન સુધી જવા માટેનો રસ્તો ખુલ્લો કરાય તે માટે રજૂઆત કરી હતી. ઉપરાંત ખેડૂત આગેવાનોએ વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાને પણ રજૂઆત કરી તેમના પ્રશ્નનું નિરાકરણ લાવવા માગ કરી હતી.

વાગરા તાલુકામાં આવેલી વિવિધ જીઆઇડીસીઓમાં દિનપ્રતિદિન નવી નવી કંપનીઓનું નિર્માણ થઇ રહ્યું છે. ખેડૂતોએ પોતાની મહામૂલી જમીનો કંપનીઓ માટે આપી છે. ત્યારે વિકાસ માટે પોતાની જમીનો આપતા ખેડૂતો હાલમાં પોતાની બાકી રહેલી ખેતી લાયક જમીન સુધી જવા માટેના રસ્તા માટે વહિવટી તંત્ર માટે કરગળી રહ્યાં છે.
વાગરા તાલુકાના કલાદરા ગામના આગેવાન જયેન્દ્રભાઈ પરમાર તેમજ અન્ય ખેડૂતોએ સોમવારે કલેક્ટરને આવેદન આપ્યું હતું. જેમાં તેમણે રજૂઆત કરી હતી કે, તેમના ગામમાં જેએસડબલ્યુ સર્વર ફિલ્ડ સ્ટ્રક્ચર્સ નામની કંપનીને ગ્રામજનોએ રાજીખુશીથી જમીન સંપાદિત કરી હતી. કોઇ વિરોધ કર્યો ન હતો. ત્યારે હાલમાં કંપની માટે ગ્રામજનોએ જમીન આપવા છતાં હવે પોતાની બાકીની ખેતીલાયક જમીનમાં ખેતી કરવા જવા માટે તેમની પાસે રસ્તો બચ્યો નથી. કંપની દ્વારા હાલમાં કામ શરૂ કરી દેવાતાં ખેતરોને જોડતા માર્ગ પર દિવાલ બનાવી દેતાં 250થી 300 એકર જેટલી જમીનના 70થી 80 ખેડૂતો પોતાના ખેતર સુધી જઇ શકતાં નથી. જેના કારણે તેઓ ખેતીમાંથી કોઇ ઉપજ પણ મેળવી શકતાં નથી. તેમણે કલેક્ટરને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, જો, કંપની દ્વારા ન્યાયિક ધોરણે તેમને રસ્તો આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તેઓ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે. ઉપરાંત ખેડૂત આગેવાનોએ વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાને પણ રજૂઆત કરી તેમના પ્રશ્નનું નિરાકરણ લાવવા માગ કરી હતી.
