શહેરી વિસ્તારોમાં અનેક સ્થળે પતરાના શેડ ઉડ્યા, સદનશીબે કોઇને જાનહાની નહીં
ભરૂચ.
ભરૂચ જિલ્લામાં ગઇકાલે સાંજે આવેલાં વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. ઠેર-ઠેર વૃક્ષો જમીનદોસ્ત થઇ જવા સાથે પતરા, શેડ ઉડી જવાના અને વીજ થાંભલા ધરાશાયી થઇ જવાના બનાવો બન્યાં હતાં. બીજી તરફ ખેતરોમાં પણ ઉભા પાકને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. ભારે પવન સાથે ફૂંકાયેલાં વાવાઝોડાથી સર્જાયેલી ક્ષતિઓને કારણે જિલ્લાના 318 ગામડાઓમાં વીજ પુરવઠો ઠપ્પ થઇ ગયો હતો. જોકે, વીજકંપનીના અધિકારીઓએ તુરંત એક્શનમાં આવી કામગીરી શરૂ કરાવી સવાર 10 વાગ્યા સુધીમાં 163 ગામડાઓમાં વીજ પુરવઠો શરૂ કરાવી દીધો હતો. જોકે, 155 ગામોમાં વીજ પુરવઠો કાર્યરત કરવા માટે વીજકર્મીઓ જોતરાયાં છે.

અંદાજે 25થીવધુ કિમીની ઝડપે ફૂંકાયેલાં વાવાઝોડાએ જનજીવન પર ભારે અસર કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં ઝૂપડા-પતરાના ઘરોને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરી વિસ્તારોમાં મોટા-મોટા હોર્ડિંગ્સ તેમજ બાંધકામ માટે લગાવેલાં શેડ તાશના પત્તાની જેમ હવામાં ઉડી ગયાં હતાં. સદનશીબે આ લખાય છે ત્યાં સુધી જિલ્લામાં ક્યાંય જાનહાનીના સમાચાર મળ્યાં નથી. ભરૂચ શહેરમાં હાલમાં જ નવીનિકરણ કરાયેલાં રેલવે સ્ટેશનના ટાવર પરના નળિયા ઉખડીને ઉડી ગયાં હતાં. રેલવે સ્ટેશન પર લગાવેલો રાષ્ટ્રધ્વજ પણ ફાટીને ઉડી ગયો હતો. ભરૂચ-દહેજ વચ્ચે આવેલાં ટોલનાકા પર ઉપર લગાવેલું હોર્ડિંગ અચાનક ધરાશાયી થઇ ગયું હતું. ભારે પવનના કારણે નીચે વાહનોની લાંબી કતાર હતી. જોકે, ટોલનાકાની કેબીનોને કારણે હોર્ડિંગ તેના પર જ પડતાં અનેક વાહનોનો આબાદ બચાવ થયો હતો. નહીં તો જાનમાલને નુકસાન થવાની ભિતી સેવાઇ રહી હતી.
—-
બોક્ષ : હાલની સ્થિતીમાં મુસાફરી કરવું ટાળવું
ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાએ હાલની સ્થિતીને લઇને જણાવ્યું હતું કે, વાવાઝોડું શાંત પડ્યાં બાદ તમામ વિભાગના લોકોને તાત્કાલિક એક્શનમાં આવી સ્થિતીને સાનુકુળ કરવામાં જોતરાઇ ગયાં છે. જોકે, હજી બે-ત્રણ દિવસ આવું વાતાવરણ રહે તેવી શક્યતાઓ હોઇ લોકોએ બીનજરૂરી બહાર નિકળવું ટાળવું જોઇએ તેમજ અત્યંત જરૂરી હોય તો જ મુસાફરી કરે.
