ભરૂચ
ભરૂચની ન્યાયમંદિર હોટલની પાછળ આવેલાં સૃષ્ટી બંગ્લોઝ ખાતે રહેતાં મનહર રત્ના પરમાર હાલમાં નિવૃત્ત શિક્ષક તરીકે જીવન ગુજારી રહ્યાં છે. તેઓ ગઇકાલે બપોરના સમયે તેમની એક્ટિવા લઇને ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલાં આઇનોક્ષ સિનેમાની સામે એસબીઆઇ બેન્કમાં પેન્શનના કામ માટે ગયાં હતાં. કામ પુર્ણ થયાં બાદ તેઓ તેમની એક્ટિવા પર તુલસીધામ ત્રણ રસ્તાથી ઝાડેશ્વર બસ સ્ટેન્ડ તરફ જઇ રહ્યાં હતાં. તે વેળાં એક બાઇક પર બે શખ્સોએ આવી તેમને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે તેમણે ગાડી ઉભી ન રાખી જીએનએફસી તરફ જવાના રોડ પર ટર્ન માર્યો હતો. અરસામાં દહેજ બાયપાસ રોડ પર એબીસીથી જીએનએફસી તરફ જવાના રોડ પર તેઓએ પુન: તેમની એક્ટિવા સામે બાઇક ઉભી રાખી તેમને રોકી તેઓએ તેમને જણાવ્યું હતું કે, તેઓ પોલીસવાળા છે. અને હાલમાં મર્ડરની તપાસમાં ચેકિંગ કરી રહ્યાં છે. તમે જે સોનાની વસ્તુઓ પહેરી છે તે કાઢી નાંખો કહેતાં તેમણે તેમની પેન્ડલવાળી ચેઇન, સોનાની વિંટી, ચાંદીની વિંટી સહિતના દાગીના કાઢતાં તેઓએ એક કાગળમાં તે લઇને તેનું પડીકું વાળ્યું હતું. જે બાદ તેમણે તેમને ગાડીની ડેકી ખોલવા કહેતાં તેમણે ડેકી ખોલતાં તે જણસોનું પડીકું તેમાં મુકી દેવા કહેતાં તેમણે તે ડેકીમાં મુકી દીધું હતું. અરસામાં અન્ય એક શખ્સ ત્યાંથી પસાર થતો હોઇ તેના પણ દાગીના તેઓએ ઉતારાવ્યાં હતાં. જોકે, આ ગાળામાં મનહર પરમાર તેમની એક્ટિવા લઇને ઘરે જવા નિકળી ગયાં હતાં. ઘરે જઇને તેઓએ જણસોનું પડીકું ખોલતાં તેમાં ડુપ્લિકેટ જણસો હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાને પગલે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
