ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને લઇને લોકોને માનસિક અસર થવાની શક્યતા નકારી ન શકાય
ભરૂચ.
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં ચાલી રહેલી યુદ્ધ જેવી સ્થિતીને લઇને સામાન્ય નાગરિક સતત ન્યૂઝ ચેનલો પર તેના સમાચાર જોવામાં જોતરાઇ ગયાં છે. જોકે, સતત ટીવી, મોબાઇલ જેવા માધ્યમમાં આ પ્રકારના સમાચારો સાંભળીને કેટલીંકવાર અત્યંત સંવેદનશીલ લોકો તેમજ જેઓએ આવી ઘટનાઓમાં સ્વજનોને ગુમાવ્યાં છે તેઓ એન્ઝાઇટીનો શિકાર બની શકે છે તેમ ભરૂચના સાયકોલોજીસ્ટ ડો. સાજીદ ડાયએ જણાવ્યું છે.
સામાન્યત: નાગરિકો યુદ્ધ જેવી સ્થિતી સર્જાય તે માટે માનસિક રીતે તૈયાર હોતા નથી ત્યારે જ્યારે આવી સ્થિતી ઉભી થાય ત્યારે કેટલાંક લોકોના મગજમાં ડર-ભય ઘર કરી જતો હોય છે. લોકો ડિપ્રેશનમાં પણ આવી જતાં હોય છે. તેમાંય મોટાભાગે લોકો સતત ટીવી-મોબાઇલમાં યુદ્ધના જ સમાચારો જોતા-સાંભળતાં હોય છે. જેના કારણે અનેક લોકોની માનસિકતા પર તેની અલગ અલગ અસર થતી હોય છે.

ભરૂચના સાયકોલોજિસ્ટ ડો. સાજીદ ડાયએ જણાવ્યું હતું કે, આવા સંજોગોમાં અલગ અલગ લોકો અલગ અલગ રીતે માનસિક તાણ અનુભવે છે. જેમાં કેટલાંક લોકો પોસ્ટ ટ્રોમેટીક સ્ટ્રેસ ડિસઓર્ડ (પીટીએસડી)નો શિકાર બનતાં હોય છે. જેમાં મોટાભાગે એવા લોકોનો સમાવેશ થાય છે કે જેઓએ આવી જ કોઇ ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવ્યાં હોય, તેમના મગજમાં ભુતકાળમાં બનેલી ઘટના પુન: તાજી થઇ જવા સાથે તેમના મગજમાં તે દ્રશ્યો પુન: ફરતા રહેવાથી ઘણીવાર તેમને સતત સાયરનનો અવાજ આવતો હોય તેમ લાગે ક્યાંક કોઇ વસ્તુ પડે તો જાણે બોમ્બ પડ્યો હોય તેમ તેઓ ગભરાઇ જતાં હોય છે. તેમને ઉંઘ નથી આવતી, ભોજન ઘટી જાય છે કેટલાંક કિસ્સામાં હ્રદયના ધબકારા પણ ઘટી જતાં હોય છે. તેમને સતત એવું લાગ્યા કરે છે કે, પુન: એવી ઘટના બનશે તો શું થશે. લાંબા સમય સુધી આમ ચાલે તો તેઓ ડિપ્રેશનમાં જઇ શકે છે. સૈનિકો પણ મોરલ ઇન્જરીનો શિકાર બની શકે છે. સૈનામાં કોઇ કારણસર તેઓએ તેમના સાથીઓને ગુમાવ્યાં હોય કે, નાગરિકોને હાની થઇ હોય તો તેઓ માનસિક તાણમાં આવી શકે છે કે, તેઓ આવી ઘટનાને રોકી ન શક્યાં જેના કારણે તેમના સાથી કે નાગરિકને હાની થઇ છે.
હાલના સમયમાં લોકોએ ખાસ તકેદારી રાખવી જરૂરી છે. આવા લોકો આસપાસ હોય તો તેમને તુરંત કોઇ સાયકોલોજિસ્ટ પાસે લઇ જઇ ઉપચાર કરાવવું જોઇએ. શક્ય હોય ત્યાં સુધી યુદ્ધના સમાચાર જોવાના ટાળવા જોઇએ.
શું કરવું જોઇએ - ટીવી - મોબાઇલમાં ન્યૂઝ જોવાનું ટાળવુુ઼ - વિશ્વસનિય સોર્સમાંથી જ સ્થિતીની જાણકારી મેળવવી - યોગા અને મેડિટેશન કરી માનસિક સંતુલન જાળવી રાખવું - પોતાને રૂચીવાળા કામોમાં વ્યસ્ત રાખવુું - ડર કે અન્ય કોઇ પણ લાગણી હોય નજીકના વ્યક્તિ સાથે ચર્ચા કરવી
કેટલાંક કિસ્સામાં લોકો અતિજાગૃત થઇ જાય છે યુદ્ધ જેવી સ્થિતીમાં જ્યારે આસપાસ કોઇ મોટી જાનહાની થઇ હોય તો લાંબાગાળા બાદ સોસાયટી ડિસેન્સેટાઇઝ થઇ જાય છે. બાદમાં તેમની આસપાસ કોઇ આવી ઘટના બને તો તેમની સંવેદના ઘટી જાય છે.બાળકોની માનસિકતા પર તેની ખાસ અસર પડે છે. સામાજમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ ઘટે છે ધાર્મિક વયમનસ્ય વધે છે.લોકો હાઇપર વિઝીલન્ટ ( અતિ જાગૃત ) થઇ જાય છે. હોર્ન વાગે, ફટકાડા ફૂટે તો પણ તેઓને કાંઇ મોટું થયું હોવાનો આભાસ થાય છે.
