શાળામાં અભ્યાસ કરાવતાં જૂના અને અનુભવી શિક્ષકોને ડિમોટ કરતાં વિવાદ છંછેડાયો
તાજેતરમાં આવેલું શાળાનું પરિણામ ઓછું હોવાને કારણે નિર્ણય લીધો હોવાની વહિવટદારોની કેફિયત
। ભરૂચ ।
ભરૂચ જંબુસર રોડ પર આવેલી વેલફેર હાઈસ્કૂલમાં સોમવારે શિક્ષકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. સંચાલકો અને શાળાના શિક્ષકો વચ્ચે તુતુ-મેમેના દ્રશ્યો સર્જાયાં હતાં. શાળાનું પરિણામ આ વર્ષે ઓછું આવતાં વહીવટી તંત્રએ જૂના શિક્ષકોને ડિમોટ કરવા સાથે નવા શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયાને લઈને મામલો ગરમાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભરૂચ શહેરના જંબુસર રોડ પર આવેલી ૫ બોમ્બે પટેલ વેલફેર સોસાયટી સંચાલિત વેલફેર હાઈસ્કૂલમાં શિક્ષકો અને સંચાલકો વચ્ચે ભારે ભારે રકઝકવાળું વાતાવરણ સર્જાયું હતું. જેમાં શિક્ષકો દ્વારા સંચાલકોના વહિવટને લઈ તેમજ શિક્ષકોને હેરાન કરવા સાથે અન્ય મુદ્દાઓને લઈને આક્ષેપો કરવામાં આવ્યાં હતાં. બીજી તરફ સંચાલકો દ્વારા શિક્ષકોની શૈક્ષણિક પ્રણાલીના કારણે શાળાનું પરિણામ ઓછુ આવ્યાના તેમજ મેનેજમેન્ટ દ્વારા લેવાયેલાં નિર્ણયોને કારણે કેટલાંક શિક્ષકો કે જેઓ બહાર ટ્યુશન કરાવે છે તેઓ દ્વારા ખોટી આક્ષેપબાજી કરી તેમને બદનામ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. બન્ને પક્ષ સામસામે આવી જતાં એક તબક્કે તેઓ ઝપાઝપી જેવો માહોલ પણ થઈ ગયો હતો. જોકે, બાદમાં મામલો શાંત પડી ગયો હતો.
શિક્ષકોની ભરતી કરતાં નથી, જૂના શિક્ષકો પર આક્ષેપ કરે છે હું છેલ્લા ૮ વર્ષથી શાળામાં ફરજ બજાવું છું, શાળામાં કોઈ પણ ધારાધોરણ વિના બાળકોને એડમિશન આપવામાં આવતી હોવાને કારણે શાળાની હાલત દયનીય છે. સ્કૂલના સુપરવાઈઝર ખોટું બોલીને જૂના એટલે કે ૨૫ વર્ષ, ૧૦,૮ કે ૫ વર્ષ જૂના શિક્ષકો વિરૂદ્ધ ખોટો માહોલ ઉભો કરી તેમને છૂટા કર્યા છે.શાળામાં બાયોલોજીના શિક્ષક નથી, ત્યારે બાળકોએ સપ્લીમેન્ટ્રીમાં તે લખ્યું છે.ત્યારે સુપરવાઈઝર તેમને કહે છે કે શિક્ષક કેમ નથી. જોકે, તે પ્રશ્ન તેમણે સંચાલકોને કરવાના બદલે અમને કરે છે. કેટલાંય શિક્ષકોને સંચાલકોએ ડિમોટ કરી દીધાં છે. (હૈયાઝ પટેલ, શિક્ષક, વેલફેર હાઈસ્કુલ)
શાળાનું સારું પરિણામ આવે તે માટેના અમારા પ્રયાસ છે. શાળાનું પરિણામ સારું આવે તે માટે કેટલાંક સુધારા કરવામાં આવ્યાં છે. કેટલાંક વાલીઓની હરિયાદ હતી કે, શિક્ષકો દ્વારા તેમના ત્યાં ટટ્યુશનમાં આવતાં વિદ્યાર્થીઓને પેપર આપી દેતાં હોય મહેનત કરનારા વિદ્યાર્થીઓનું પરિણામ ઓછું આવવાથી તેમના પર અસર પડતી હતી.એટલે બહારના એક્સપર્ટ્સ. ટીચર્સ કે એજન્સી થકી પેપર બનાવી પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં જે શિક્ષકોનું પરિણામ ઓછું આવ્યું છે તેઓ હંગામો કરે છે. જૂના શિક્ષકોને કાઢયા નથી તેમને બીજા ક્લાસની જવાબદારી સૌપી છે. આ વર્ષે સારા અનુભવી શિક્ષકોની નિમણૂંક કરી છે. જેથી તેઓને અસુરક્ષિતતા લાગતા આ પગલું ભર્યું છે. (એઝાઝ પટેલ, એડિમનીસ્ટ્રેટર, બોમ્બ પટેલ વેલહેર સોસાયટી, ભરૂચ)
