આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને આયુષ બ્લડ બેંકના સહયોગથી આયોજન
કોઇપણ પ્રકારના આકસ્મિક સંજોગો દરમિયાન લોહીની અછત ન સર્જાય તે માટે વધુમાં વધુ નાગરિકોને રક્તદાન કરવા જિલ્લા આરોગ્ય તંત્રની અપીલ
ભરૂચ
સમગ્ર રાષ્ટ્રની સુખાકારી અને સેવા માટે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને આયુષ બ્લડ બેંકના સહયોગથી સામુહિક આરોગ્ય કેન્દ્ર ગડખોલ તા. અંકલેશ્વર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
કોઈપણ પ્રકારના આકસ્મિક સંજોગો દરમિયાન જિલ્લામાં લોહીની અછત ન સર્જાય તે માટે વધુમાં વધુ નાગરિકોને રક્તદાન કરવા જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરા દ્વારા અપીલ કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું છે કે કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિમાં જિલ્લામાં લોહીની અછત ન સર્જાય તે સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને આયુષ બ્લડ બેંકના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પનો ૧૫ મી મે ૨૦૨૫ના રોજ શુભારંભ કરવામાં આવશે. જ્યાં નાગરિકો સવારે 1૦.00 થી બપોર ૨.00 કલાક સુધી રક્તદાન કરી શકશે.
તેઓએ વધુમાં જણાવ્યું કે રક્તદાન એ આપણી પવિત્ર ફરજ છે અને દરેક સ્વસ્થ વ્યક્તિએ રક્તદાન કરી આ કાર્યમાં સહભાગી થવું જોઈએ. આપણું નાનું યોગદાન કોઈના માટે અમૂલ્ય સાબિત થઈ શકે છે. રક્તદાતા સંસ્થાઓ, સ્વયંસેવકો, યુવાનો અને એનજીઓ તેમજ ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને આ કેમ્પમાં મોટી સંખ્યામાં જોડાઈને માનવતાના આ કાર્યમાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે.
