શુકલતીર્થ, અંગારેશ્વર, મંગલેશ્વર, ભાડેશ્વર મંદિર, વમલેશ્વર વગેરે સ્થળોએ ચાલતા વિકાસ પ્રોજેકટો ઉપર ચર્ચા કરવામાં આવી
। ભરૂચ !
જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના વિડીયો કોન્ફરન્સ રૂમ ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ હતી. આ વેળાએ ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ગુજરાત સરકાર દ્વારા પૌરાણિક તેમજ ધાર્મિક રીતે મહત્વ ધરાવતા ધર્મસ્થાનોનો સુઘડ વિકાસ થાય તે માટે તેના આયોજન સંદર્ભે જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠકમાં રજુ કરવામાં આવેલા વિવિધ એજન્ડાઓ પર ચર્ચા કરાઈ હતી.
આ તકે શુકલતીર્થ, અંગારેશ્વર, મંગલેશ્વર, ભાડેશ્વર મંદિર, વમલેશ્વર વગેરે સ્થળોએ ચાલતા વિકાસ પ્રોજેકટો ઉપર ચર્ચા કરવામાં આવી હતી તેમજ ભરૂચ જિલ્લાના અતિ પૌરાણિક અને ધાર્મિક રીતે ખુબ મહત્વ ધરાવતા પવિત્ર સ્થાનો અને તેના વિકાસ માટેના ભવિષ્યના આયોજનો અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી. વધુમાં જિલ્લા કલેક્ટર કહ્યુ હતુ કે, નેત્રંગ અને ઝઘડીયા તાલુકામાં જંગલો અને ટેકરીઓ સાથે નદી કિનારાની આચ્છાદિત જમીન આવેલી છે. અહીં વન આચ્છાદિત સુંદર અને સૌમ્ય અનેક બ્લેક સ્પોર્ટસ આવેલા છે. જંગલોમાં આવેલા ધોધ, સુંદર સ્પોર્ટ, ડેમ સાથે તેના કેચમેન્ટ એરિયા વગેરે વિસ્તારોમાંથી યોગ્ય સ્થળો પસંદગી કરી તેને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા પર કલેકટરે અનુરોધ કર્યો હતો.
તેમજ જિલ્લા વહીવટી તંત્રજા નેજા હેઠળ વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં આવેલી ટેકરીની પસંદગી કરી ચોમાસા તેમજ શિયાળાની ઋતુ દરમ્યાન અને જિલ્લા કક્ષાએથી આયોજન કરી આરોહ-અવરોહણની સ્પર્ધા, વન-મહોત્સવ જેવા આયામો થકી ભરૂચ જિલ્લાના લોકો માટે ટુરિસ્ટ પોઈન્ટ વિકસાવવા પર તેમણે ભાર મુક્યો હતો. અંતે જિલ્લાના પ્રવાસન વિકાસ કાર્યોને અગ્રતા આપી નિયમાનુસાર અને નિયત સમયમર્યાદામાં કામો પુર્ણ થાય તે માટે ઉપસ્થિત વિભાગોના અમલીકરણ અધિકારીઓને જિલ્લા કલેકટરે તાકિદ કરી જરૂરી સુચનો આપી માર્ગદર્શન આપ્યુ હતુ. આ બેઠકમાં નિવાસ અધિક કલેક્ટર એન.આર.પાંધલ, પાંત તેમજ જિલ્લા નોડલ અધિકારી, અમલીકરણ અધિકારી તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
