અંક્લેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં કેન્સર વિભાગમાં ફરજ બજાવતાં હતાં
ગત 16મીએ મિત્રના લગ્નમાં જવાનું હોવાનું કહીને હોસ્પિટલમાંથી નિકળ્યાં હતાં
ભરૂચ.
ભરૂચ-અંક્લેશ્વરને જોડતા ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલાં બોરભાઠા બેટ ગામન સ્મશાન પાસે નર્મદા નદીના કિનારેથી એક અજાણ મહિલાનો મૃતદેહ ડિ-કમ્પોઝ હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાને પગલે અંક્લેશ્વર સિટી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં મૃતક જયાબેન મોદી હોસ્પિટલના મહિલા તબીબનો હોવાનું બહાર આવ્યું હતું. મહિલા તબીબ 16મી મેના રોજ હોસ્પિટલમાંથી ભરૂચ મિત્રના ત્યાં લગ્ન પ્રસંગમાં જવાનું કહીને નિકળ્યાં હતાં.

ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે બોરભાઠા બેટના સ્મશાન નજીક એક મહિલાનો મૃતદેહ નર્મદા નદીમાં તણાઇ આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી તેમની ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યાં હતાં. તેમણે મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. બીજી તરફ અંક્લેશ્વર સીટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતક મહિલાની ઓળખ મેળવવા માટેની કવાયત શરૂ કરી હતી.

તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે, મૃતકનું નામ મનિષા વાળા છે અને તેઓ અંક્લેશ્વરના ગાર્ડન સિટી ખાતે રહે છે અને જયાબેન મોદી હોસ્પિટલમાં કેન્સર વિભાગમાં તબીબ તરીકે ફરજ બજાવે છે. તેઓ ગત 16મી મેના રોજ નોકરીએ ગયાં હતાં. જ્યાંથી તેઓ સ્ટાફને તેમના મિત્રને ત્યાં લગ્ન પ્રસંગ હોઇ તે ભરૂચ જઇ રહ્યાં છે તેમ કહીંને હોસ્પિટલમાંથી નિકળ્યાં હતાં. બીજી તરફ તેઓ મોડે સુધી ઘરે પરત નહીં આવતાં તેમના પતિ કલ્પેશ વાળાએ તેમની હોસ્પિટલમાં તેમજ અન્ય સ્થળે તપાસર કરતાં તેઓ નહીં મળતાં અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે તેમના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ઘટનાને પગલે પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
