ભરૂચ.
ભરૂચ એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, જંબુસરના સ્વામિનારાયણ મંદિરની સામે આવેલાં શનિયાવાડ ફળિયાની ખુલ્લી જગ્યામાં જાહેરમાં લાઇટના અજવાળે કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી છે. જેના પગલે તેમણે ટીમે તુરંત સ્થળ પર દોડી જઇ રેડ પાડતાં જુગારિયાઓમાં દોડધામ મચી હતી. જોકે, પોલીસે તે પૈકીના આસિફ યાસીન શેખ (રહે. જલાલપુરા મસ્જીદ), સઇદ ઉર્ફે લોટાકી મુસ્તુફા નિઝામ શેખ (રહે. ખાનપુરી ભાગોળ), શબ્બીર ઇસ્માઇલ પટેલ (રહે. નવીનગરી, જંબુસર), કમલેશ લક્ષ્મણ વાઘેલા(નવીનગરી) નામના પાંચ જુગારિયાઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા તેમજ એક મોબાઇલ સહિત કુલ 15,720નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ફરાર આરોપીઓના નામ પુછતાં તેમણે જણાવ્યું હતું કે, આ પત્તાનો આસરો ચલાવનાર સવિતા ઉર્ફે સકીના મનુ રાઠોડ તેમજ બેસીને જુગાર રમાડનાર અરવિંદ રાઠોડ બન્ને પોલીસની રેડ જોઇને નાસી છુટ્યાં હતાં. બનાવને પગલે ટીમે તમામ વિરૂદ્ધ જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
