તમારો આધારકાર્ડ ખોટી રીતે ઉપયોગમાં લેવાયો છે તેમ કહીં છેતર્યો
ભરૂચના સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
ભરૂચ
વાલિયાના કબુતરખાના વિસ્તારમાં રહેતાં સિતારામ રામઅવધ રાય વાલિયાની એપ્કોટેક્ષ કંપનીમાં ૨૫ વર્ષથી ફાયર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. તેઓના મોબાઈલ પર ગત ૧૭મી માર્ચ ના રોજ એક શખ્સો વોટ્સએપ વિડીયો કોલ કર્યો હતો. જેમાં ફોન કરનારા શખસે પોતાની ઓળખ ટેલીકોમ ડિપાર્ટમેન્ટના સંદિપકુમાર તરીકે આપી હતી. હિન્દીમાં બોલતાં શખ્સે તેમના આધારકાર્ડની વિગતો માંગ્યા બાદ તેમના આધારકાર્ડ સાથે રજિસ્ટર્ડ તેમના બીએસએનએલ કંપનીનું સીમકાર્ડ બે કલાકમાં બંધ થઈ જશે તેમ જણાવતાં તેમણે તેનું કારણ પુછતાં તેણે જણાવ્યું હતું કે, તેમના આધારકાર્ડનો ખોટી રીતે ઉપયોગ થયો છે. અને તેમને મુંબઈ આવવું પડશે. જેથી તેમણે મુંબઈ જોયું ન હોવાનું કહેતાં તેમણે મુંબઈ પોલીસ સાથે વાત કરાવવાનું કહી વોટ્સએપ કોલ પર એક પોલીસ કર્મી સાથે વાત કરાવી હતી. પોલીસ યુનિફોર્મમાં રહેલાં શખ્સે પોતાનું નામ અનિલ યાદવ અને તે સીબીઆઈ, મુંબઈથી બોલે છે તેમ કહીં તેમને તેમના ઉપરી અધિકારી સાથે વાત કરાવવાનું કહેતાં તેણે ધમકી ભરેલી ભાષામાં અનિલ યાદવને જ આગળની કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.
અનિલ યાદવે તેમને જણાવ્યું હતું કે, તેઓએ સાયબર ક્રાઈમના ગુનામાં મોહમદ નામના એક આરોપીની ધરપકડ કરી છે અને સંજયસિંગ નામની વ્યક્તી ફરાર છે. તેઓ ૫૦ હજારથી ઓછા પગારવાળાને નોકરીની લાલચ આપી વિદેશમાં લઈ જઈ ત્યા મરવા માટે છોડી દેતાં હતાં. અને તેઓએ તેમના આધારકાર્ડથી ૪ બેન્ક એકાઉન્ટ ખોલાવ્યાં છે. જેથી તેમની ધરપડક કરવામાં આવશે તેમ કહેવા સાથે પરિવારજનો અંગે પુછતાં તેઓ એકલાં રહેતા હોવાનું જણાવતાં તેઓએ તેમને આ કોલ અંગે કોઈને જાણ નહીં કરવા અને કરશે તો સ્થાનિક પોલીસ તેમની ધરપકડ કરશે તેવી ધમકી આપી હતી. જે બાદ તેમના એકાઉન્ટ સહિતની વિગતો મેળવી હતી. તેઓએ એસઆઈપી તેમજ ફિક્સ ડિપોઝીટમાં રુપિયા રાખ્યાં હોઈ તે તોડાવી તેમની પાસેથી વાતોમાં ભોળવી તે રૂપિયા તેમના કહ્યાં મુજબના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધાં હતાં. ગઠિયાઓએ તેમની પાસેથી કુલ ૯.૨૮ લાખથી વધુની ઠગાઈ કરી હતી. બનાવને પગલે તેમણે વાલિયા પોલીસ બાદ ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
