ભરૂચ જિલ્લામાં પણ રાજકીય નેતાનું ૧૮ કરોડનું કૌભાંડ સામે આવી શકે છે
ભરૂચ
મનરેગા યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોને રોજગારી મળી રહે તેમજ તેમનો વિકાસ થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજના ચલાવવામાં આવે છે જેમાં તેઓને રોજગારી મળતી રહે છે ત્યારે આ યોજના હેઠળ સામાન્ય રીતે નવા ચેકડેમ બનાવવા, રોડ રસ્તા બનાવવા, તળાવો ઉંડા કરવા તે સહિતના વિવિધ કામોમાં સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવતી હોય છે. કેન્દ્ર સરકારની આ યોજનાનું ચાલુ વર્ષનું કુલ બજેટ ૮૨ હજાર કરોડ રૂપિયાનું છે ત્યારે કેટલાક નેતા ગરીબોની રોજીરોટી પર તરાપ મારી રહ્યા છે.
તાજેતરમાં ખોટા બીલો રજૂ કરીને ગરીબ ગ્રામવાસીઓના અધિકારના કરોડો રૂપિયાની ઉચાપત કરવાનું કામ ભાજપ સરકારના મંત્રી બચુ ખાબડ અને તેમના બે પુત્રોએ કર્યું હોવાનુ સામે આવ્યુ છે. કરોડોના ખોટા બીલો મુકીને મંત્રી અને તેમના બે સંતાનોએ કૌભાંડ આચર્યું છે ત્યારે ભરૂચ સહિત અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યા હોય તેવી શક્યતાઓ નકારી શકાતી ન હોવાની રાવ સાથે આમ આદમી પાર્ટીએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ છે જેમાં આવા કૌભાંડી મંત્રીઓને તુરંત પદભ્રષ્ટ કરીને તેમની સામે સઘન તપાસ કરવામાં આવે ઉપરાંત તમામ જિલ્લામાં આવા કૌભાંડની તપાસ માટે વિશેષ નિષ્પક્ષ તપાસ કમિટી બનાવવામાં આવે તેવી માંગ તેમને કરી હતી. અત્રે નોંધનીય છે કે, ભરૂચના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મનરેગાના કામોમાં 60 ટકા, 40 ટકાનો રેસિયો જળવાતો ન હોવાની ફરિયાદોના પગલે તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે સુત્રોમાંથી જાણવા મળ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં પણ મોટા રાજકીય નેતાનું ૧૮ કરોડનું આવુ જ કૌભાંડ બહાર આવી શકે છે.
