કંપનીની સેફટી પ્રસાધન વ્યવસ્થા પર સવાલો ઉઠયા
ભરૂચ
સાયખાં કેમિકલ ઝોનમાં આવેલ એક કંપનીમાં ગટર લાઈનના કામકાજ દરમ્યાન એક કામદાર ઈજાગસ્ત બન્યો હતો. વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં ફરજ પરના ડોક્ટરે કામદારને મૃત જાહેર કરતા અન્ય કામદારો શોકગ્રસ્ત બન્યા હતા. તો બીજી તરફ કંપનીની સલામતી વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા હતા.
સાયખાં કેમિકલ ઝોનમાં જુનેદ જીઆઈડીસીમાં આવેલ અલ્કેમી ફાઈન કેમ પા.લી. માં સોમવારની સાંજે નિત્ય ક્રમ મુજબ કામદારો કામ કરી રહ્યા હતા. દરમ્યાન ક્રેઈનના હુકમાં સિમેન્ટની પ્રિકાસ્ટ ટ્રેઈનને બેલ્ટથી બાંધી ઉપરથી ગટર લાઈનમાં ઉતારવાનું કામ કરતા હતા તે વખતે સાંજના સમયે અચાનક હુકમાંથી એકબાજુનો બેલ્ટ સરકી જતા સબુભાઈ નારસીંગ મખોડીયા ઉ.વ.૩૫ ના કપાળમાં પ્રિકાસ્ટ ટ્રેઈન અથડાતા ગંભીર ઈજાઓ થવા પામી હતી. ઈજાગસ્તને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જયાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. કામદારનું કામકાજ દરમ્યાન મોત નિપજતા અલકેમી ફાઈન કેમ કંપનીના સેફટી સામે સવાલો ઉભા થયા વિના રહેતા નથી. વાગરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કંપનીની બેદરકારીને કારણે કામદારનું મોત થયુ હોવાની વહેતી થયેલ વાતોને પગલે કામદારોમાં કંપની મેનેજમેન્ટ સામે રોષ ભભૂકી ઉઠયાની ચર્ચાઓએ ભારે જોર પકડયુ હતુ.
