ઘૂસણખોરી કરનાર તમામ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની કવાયત હાથ ધરાઇ
ભરૂચ.
પહેલગામની ઘટના બાદ ભરૂચ પોલીસ વિભાગ સતર્ક બની ગયું છે. જેના ભાગરૂપે શહેર જિલ્લામાં ભાડૂઆતોની નોંધણી ચકાસણી સહિત અસામાજિક તત્વો તેમજ બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરી કરી આવેલાં લોકોને શોધવાની કવાયત એલસીબી તેમજ એસઓજીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ અને અંક્લેશ્વરમાંથી ટીમોએ કુલ 14 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યાં હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે.
ભરૂચ એસઓજી તેમજ એલસીબીની ટીમોએ ભરૂચ શહેર મહંમદપુરા, લીંબુ છાપરી, માટલીવાલા સ્કૂલ પાસે, છીપવાડ તેમજ અંક્લેશ્વરની નિર્મલ નગર સોસાયટી વિસ્તારમાંથી કુલ 14 જેટલાં બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે. એસઓજી અને એલસીબીની ટીમો દ્વારા તેમના ભુતકાળ અને વ્યવસાયની વિગતો મેળવવાની કવાયત હાથધરવામાં આવી છે. જેમાં મોટાભાગના બાંગ્લાદેશીઓ માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલાં હોવાનું માલુમ પડ્યું હતું.
એક મહિના પહેલાં પણ પોલીસની 50 ટીમોએ પરપ્રાંતિય વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરી 1,000 જેટલા શંકાસ્પદોને શોધી કાઢયા હતાં. તેમનું બાયોમેટ્રીક કરાવતાં મોટાભાગના પશ્ચિમ બંગાળના મુસ્લિમ નીકળ્યાં હતાં જયારે 29 બાંગ્લાદેશી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ઝડપાયેલાં બાંગ્લાદેશીઓએ પશ્ચિમ બંગાળની સરહદથી ઘુસણખોરી કરીને ભારતમાં અને બાદમાં ભરૂચ આવી ધંધો- રોજગાર શરૂ કર્યો હતો.
