વહેલી તકે નિકાલ કરવા ડિસેમ્બરમાં સુચના છતાં કોઈ કાર્યવાહી નહીં
1 ભરૂચ ।
ભરૂચ તાલુકાના ઝનોર ગામની મહિલા સરપંચ વિરૂધ્ધ ગ્રામ પંચાયતના સભ્યએ અરજી કરી હતી. સામ પંચાયતમાં નાણાંકીય ગેરવહીવટ અને સત્તાના દુરઉપયોગના આક્ષેપ સાથે તેમની સામે ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે મામલામાં ટીડીઓ દ્વારા તેઓ દોષિત સાબિત થયાનો અહેવાલ જિલ્લા વિકાસ અધિકારીને સુપ્રત કરવામાં આવ્યો હોવા છતાં આ કેસમાં જલ્દી નિકાલ નહી આપવામાં આવતા અનેક તર્કવિતર્ક સર્જાય રહ્યા હોવાનું ફરિયાદીએ જણાવ્યુ હતુ. આ મામલે ડીડીઓનો મોબાઈલ ઉપર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે તેમણે ફોન ઉપાડયો ન હતો.
ભરૂચ તાલુકાના ઝનોર ગામે રહેતા દિનેશ રાયસંગ માછી ગ્રામ પંચાયત સભ્ય તરીકે સેવા આપે છે તેમણે તેમના સરપંચ મંજુલાબેન બાબરભાઈ વસાવા વિરૂધ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ કરી હતી જેમાં તેમણે સરપંચ દ્વારા નાણાંકીય ગેરવહીવટ અને સત્તાનો દુર ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમની અરજીને લઈને તાલુકા વિકાસ અધિકારીને વિગતવાર અહેવાલ તૈયાર કરવા સુચનો આપવામાં આવતા તેમણે મહિલા સરપંચ મંજુલાબેન વસાવા વિરૂધ્ધ ગુજરાત પંચાયત અધિનિયમની કલમ ૧૯૯૩/૫૭(૧) હેઠળ નાણાંકીય ગેરવહીવટ અને સત્તાના દુરઉપયોગ માટે દોષિત સાબિત થયા હોવાનો અહેવાલ આપ્યો છે. આ તારણો કાયદાની અદાલતમાં સ્વીકારવામાં આવ્યા છે જે બાદ ડીડીઓ દ્વારા કોઈપણ કાર્યવાહી ન થતાં દિનેશ માછીએ હાઈકોર્ટમાં ઘા કરતા ૧૯ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ હાઈકોર્ટમાંથી આ કેસનો ઝડપી નિકાલ કરવા માટે ઓરલ ઓર્ડર આપવામાં આવ્યો હતો. તેમ છતાં પણ હજી સુધી ડીડીઓ દ્વારા આ મામલામાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તેમજ અસરકારક પગલા ભર્યા નથી ત્યારે દિનેશ રાયસંગ માછીએ જણાવ્યુ હતુ કે, ડીડીઓની નિષ્ક્રીયતા પ્રશાસન અને ન્યાયપ્રણાલીની નબળાઈ તરફ ઈશારો કરે છે તેમજ ડીડીઓ ઉપર કોઈનું દબાણ હોય તેવી શંકાઓ જાય છે. સરપંચ અને તેમના સહયોગીઓ દ્વારા વિકાસના નામે થયેલા નાણાંકીય ગેરવહીવટથી ગ્રામ્ય સ્તરે લોકશાહીને કચડી નાંખવાનો કારસો રચાયો છે. આ મામલે ડીડીઓનો મોબાઈલ ઉપર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે તેમણે ફોન ઉપાડયો ન હતો.
