ભરૂચ તાલુકાના વહાલુ ગામ પાસે બનેલી ઘટના
અંકલેશ્વરનું દંપતિ માસા રોડથી ઘરે પરત જતું હતું
કેસલુંનો યુવાન બાળકોના ચોપડા લઈ ઘરે જતો હતો
ભરૂચ
ભરૂચ તાલુકામાં આવેલાં વહાલુ ગામ પાસે એક દંપતિની બાઈક સાથે અન્ય બાઈક ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં બન્ને બાઈકના ચાલક યુવાનોનું મોત નીપજયું હતું. જ્યારે મહિલાને ગંભીર ઈજાઓ થતાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવને પગલે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરમાં આવેલી સિદ્ધેશ્વર સોસાયટી ખાતે રહેતાં કેતન દિનેશ ચૌહાણ ભરૂચમાં આવેલી ગંગામણી કંપનીમાં નોકરી કરે છે. તેઓ તેમની પત્ની મિતલ તેમની બાઈક લઈને પાદરાના માસા રોડ ખાતે રહેતાં તેમના મામાના ઘરે ગયાં હતાં. જયાંથી તેઓ પરત અંકલેશ્વર જવા માટે રવાના થયાં હતાં. બીજી તરફ આમોદ તાલુકામાં આવેલાં કેસલું ગામે રહેતાં ધવલ વિનુભાઈ પટેલ બાળકોના પુસ્તકો લેવા માટે સવારે આઠેક વાગ્યે ભરૂચ આવ્યાં હતાં. ભરૂચનું કામ પતાવીને બપોરે એકાદ વાગ્યાના અરસામાં તેઓ પરત ઘરે જવા માટે નિકળ્યાં હતાં. અરસામાં કેતન ચૌહાણ અને ધવલ પટેલ બન્ને તેમની બાઈક લઈને વહાલુ ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતાં. તે વેળાં કોઈ કારણસર તેમનું સ્ટિયરીંગ પર કાબુ નહીં રહેતાં બન્નેની પડાકાભેર સામસામે ભટકાઈ હતી. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે કેતન ચૌહાણ તેમજ ધવલ પટેલ બન્નેના મોત નીપજયાં હતાં. જયારે કેતન પટેલની પત્ની મિતલ ગંભીર રીતે થવાઈ હોવાને કારણે તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવને પગલે ભરૂચ તાલુકા પોલીસને જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
